Fri Jul 24 2026

Logo

*આજે આકાશમાં જોવા મળશે અદભુત નજારો! રખેને જોવાનું ચૂકતા...*

2026-07-24 18:08:18
Author: Darshana Visaria
Article Image

ખગોળપ્રેમીઓ માટે આજે એટલે કે 24મી જુલાઈ 2026નો દિવસ અત્યંત ખાસ સાબિત થવા જઈ રહ્યો છે. આજે રાત્રે આકાશમાં એક દુર્લભ અને રમણીય ખગોળીય ઘટના બનવા જઈ રહી છે, જેને લોકો કોઈપણ જટિલ ટેલિસ્કોપ વગર પોતાની ખુલ્લી આંખોથી જોઈ શકશે. રાતના સમયે આકાશમાં લાલ મહાદાનવ તારા તરીકે ઓળખાતા 'અન્ટારેસ' તારાની અત્યંત નજીક ચમકતો ચંદ્ર જોવા મળશે.

જાણીતા ખગોળશાસ્ત્રીના જણાવ્યા અનુસાર, 24મી જુલાઈની રાતે શુક્લ પક્ષનો વધતો ચંદ્ર વૃશ્ચિક તારામંડળના 'હૃદય' તરીકે પ્રસિદ્ધ લાલ તારા અન્ટારેસની બિલકુલ પાસે જોવા મળશે. ભારતીય ખગોળ વિજ્ઞાન અને જ્યોતિષની ભાષામાં આ અન્ટારેસ તારાને 'જ્યેષ્ઠા નક્ષત્રના યોગતારા' તરીકે ઓળખવામાં આવે છે.

ક્યારે અને કઈ રીતે જોઈ શકાશે આ નજારો?
આ ખગોળીય યુતિને જોવાનો શ્રેષ્ઠ સમય આજે સૂર્યાસ્ત પછીથી લઈને રાત્રિના એક વાગ્યા સુધીનો રહેશે. મધ્યરાત્રિ પછી બંને ખગોળીય પિંડ ધીમે-ધીમે પશ્ચિમી ક્ષિતિજ તરફ નીચે નમતા જશે. આ દ્રશ્ય ખુલ્લી આંખોથી સ્પષ્ટપણે જોઈ શકાશે. તેના માટે કોઈ વિશેષ ટેલિસ્કોપ કે બાઈનોક્યુલરની જરૂર નથી. 

જોકે, જો તમારી પાસે નાનું બાઈનોક્યુલર હોય તો આ દ્રશ્ય વધુ સ્પષ્ટ, સુંદર અને આકર્ષક દેખાશે. સૂર્યાસ્ત પછી આકાશમાં દક્ષિણ દિશા તરફ ક્ષિતિજથી આશરે 40 ડિગ્રી ઉપર જોશો તો ચમકતા ચંદ્રની બિલકુલ પાસે ઘેરા લાલ-નારંગી રંગમાં ટમટમતો અન્ટારેસ તારો નજરે પડશે.

શું છે આ 'અન્ટારેસ' તારો?
અંતર અને રંગ: પૃથ્વીથી આશરે 550 પ્રકાશ-વર્ષ દૂર આવેલો આ લાલ-નારંગી રંગનો તારો એક 'રેડ સુપરજાયન્ટ' છે. તે આકાશનો 15મો સૌથી ચમકીલો તારો છે. રાત્રે તેનો વિઝ્યુઅલ મેગ્નિટ્યુડ +1.09ની આસપાસ રહેશે, જ્યારે ચંદ્રનો મેગ્નિટ્યુડ આશરે -11.10 રહેશે. પાશ્ચાત્ય ખગોળશાસ્ત્રમાં તેને 'હાર્ટ ઓફ ધ સ્કોર્પિયન' કહેવામાં આવે છે, કારણ કે તે વૃશ્ચિક તારામંડળની મધ્યમાં એટલે કે તેના હૃદયના સ્થાને આવેલો છે.

આકાશમાં 'વીંછી'નો ઈતિહાસ
પ્રાચીન કાળથી દક્ષિણી આકાશના આ તારામંડળને વીંછી (Scorpion)ના આકારમાં ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં તેને વૃશ્ચિક, ગ્રીકમાં સ્કોર્પિયો, બેબીલોન સંસ્કૃતિમાં અક્રબુ અને અરબીમાં અલ-અકરબ કહેવાય છે. પ્રકાશ પ્રદૂષણથી દૂર જઈને જોશો તો આકાશમાં તારાઓનો સમૂહ બિલકુલ વીંછી જેવી આકૃતિ બનાવતો દેખાશે.

શું હોય છે ખગોળીય યુતિ?
ખગોળશાસ્ત્રીના જણાવ્યા મુજબ, જ્યારે પૃથ્વી પરથી જોતાં બે કે તેથી વધુ આકાશી પિંડો જેમ કે ગ્રહ, તારા કે ચંદ્ર આકાશમાં એકબીજાની ખૂબ નજીક દેખાય, ત્યારે તેને 'યુતિ' કહેવાય છે. આ અંતરિક્ષમાં તેમની વાસ્તવિક નિકટતા નથી હોતી પરંતુ એક દ્રષ્ટિ-રેખાનો પ્રભાવ હોય છે. ભારતથી આ ઘટના ચંદ્ર દ્વારા અન્ટારેસ તારાને ઢાંકી દેવાના રૂપે નહીં, પરંતુ બંનેના એક અત્યંત સુંદર અને નજીકના સંયોજન તરીકે સ્પષ્ટ દેખાશે.