Thu Sep 03 2026

Logo

નેપાળ બાદ હવે કાશ્મીર પર ખતરો? ગ્લેશિયલ તળાવો બની રહ્યા છે ‘ટાઈમ બોમ્બ’!

2026-09-01 08:47:00
Author: Mumbai Samachar Team
નેપાળ બાદ હવે કાશ્મીર પર ખતરો? ગ્લેશિયલ તળાવો બની રહ્યા છે ‘ટાઈમ બોમ્બ’!

AI Image


શ્રીનગરઃ નેપાળમાં આવેલા અણધાર્યા પૂરે આફત ઊભી કરી દીધી છે. અનેક પરિવારનો માળો વિખેરાયો છે અને પાર વગરની નુકસાની થઈ ચૂકી છે. આ આફતે ભારતમાં આવેલા હિમઆચ્છાદિત પ્રદેશની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ચિંતા વધી છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ખૂબ જ ઊંચાઈ પર આવેલા ગ્લેશિયરે ચિંતા વધારી દીધી છે. જે આફતને પેદા કરી શકે એમ છે. 155 ગ્લેશિયર અને તળાવ એવા છે જે સંવેદનશીલ છે. જેના પર સતત વૉચ રાખવાની જરૂર છે. 

નેપાળ કરતા પણ વધુ વિનાશકારી આફત
નિષ્ણાંતોએ ત્યાં સુધી કહ્યું કે, હાલમાં સૌથી વધારે જમ્મુ કાશ્મીર પર ધ્યાન આપવાની જરૂર છે. અનેક એવા ગ્લેશીયર અને તળાવ એવા છે જે જોખમી છે.આ તળાવ કે તેની આસપાસ ભૂસ્ખલન કે ભૂકંપ આવ્યો તો નેપાળ કરતા પણ વધારે વિનાશકારી સ્થિતિ ભારતમાં ઊભી થઈ શકે એમ છે. ગ્લેશિયર ફાટતા કાશ્મીરના હાલ બેહાલ પહેલા થશે. જમ્મુ કાશ્મીરના 5થી વધારે ગ્લેશિયર અને તળાવ સિસ્મિક ઝોન 5.1માં આવતા હોવાના કારણે  રીસર્ચર-નિષ્ણાંતો એલર્ટ આપી રહ્યા છે. ગ્લેશિયર ફાટવા અને પૂરથી વધતા જોખમને ધ્યાને લઈ એક ખાસ રણનીતિ તૈયાર કરવા, યોજના બનાવવા તથા આફત સામે લડવા માટેની તૈયારી કરવાની માગ કરી છે. આ સાથે ચેતવણી પણ આપી છે કે, આ બાબતને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો નેપાળ કરતા વધારે વિનાશકારી સ્થિતિ ભારતમાં પેદા થઈ શકે છે. 

અનેક માળખાગત સુવિધાને  અસર
જમ્મુ અને કાશ્મીરમાં ઊંચાઈ પર આવેલા હિમનદી તળાવો અને અસ્થિર ભૂપ્રદેશ દ્વારા ઊભા થતા વધતા જોખમો પર ભાર મૂકવામાં આવ્યો છે. રીસર્ચરોએ ચેતવણી આપી છે કે, ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF), ભૂસ્ખલન અથવા અન્ય કુદરતી આફતો જેવી ઘટનાઓ ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં વસ્તી અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને ગંભીર અસર કરી શકે છે. તાજેતરના સર્વેક્ષણના ડેટા અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં 155 હિમનદી તળાવોનું GLOF-સંબંધિત જોખમો માટે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં પાંચને ઉચ્ચ જોખમ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આમાં ગંદરબલ, કુલગામ, કિશ્તવાર અને ડોડા જેવા જિલ્લાઓના ઊંચા વિસ્તારોમાં સ્થિત બ્રમસર, ચિરસર, નંદકોલ, ગંગાબલ અને ભાગસર તળાવોનો સમાવેશ થાય છે.

સ્થળ ત્યાં જળ સાથે કાળમાળ જેવી સ્થિતિ
નિષ્ણાંતો ચેતવણી આપે છે કે, બરફ અથવા ખડકોના હિમપ્રપાત, ભૂસ્ખલન, પાણીના સ્તરમાં ઝડપી ફેરફાર અથવા કુદરતી બંધોની નિષ્ફળતા જેવા પરિબળોને કારણે તળાવ ફાટવાથી ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી છૂટી શકે છે. આવી ઘટના હજારો ઇમારતો, મુખ્ય પુલ, રસ્તાઓ અને અન્ય મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચાડી શકે છે, જેમાં મહત્વપૂર્ણ જળવિદ્યુત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. જાણીતા પર્યાવરણવિદ એઝાજ રસુલે જણાવ્યું હતું કે, આપણી પાસે શ્રીનગર અને જમ્મુ સહિત સમગ્ર કાશ્મીરના એવા વિસ્તારો છે જે જોખમી છે. અહીંયાના હિમ તળાવ અને ઊંચાઈ પર આવેલા ગ્લેશિયર પાસે નેપાળ જેવી ઘટના બની શકે એમ છે. કૌસર, ગંગાબલ, શેષનાગ જેવા વિસ્તારમાં આવેલા તળાવમાં આવનારી આફત છેક શ્રીનગર સુધી અસર ઊભી કરી શકે છે. સમગ્ર હિમાલયના પ્રદેશ ગણાતા વિસ્તારમાં અનેક એવા પહાડ છે જે સંવેદનશીલ છે. 

મોટું નુકસાન થવાની ભીતિ
નેપાળમાં, બરફનો મોટો ગ્લેશિયર એક હિમ તળાવમાં તૂટી પડ્યો, જેના કારણે પાણીનો એક વિશાળ પ્રવાહ વહેતો થયો. આ ઉપરાંત, ઊંચાઈ વધારે અને પ્રેશર વધારે હોવાના કારણે આ તોફાન પૂરમાં ફેરવાયું હતું. જે પાંચ માળની ઇમારત કરતાં પણ ઉપર ગયું. આ ઘટનામાં જાનમાલનું વ્યાપક નુકસાન થયું. આ ઘટનાએ જમ્મુ અને કાશ્મીર તરફ પણ ધ્યાન ખેંચ્યું છે, કારણ કે આ પ્રદેશ ઊંચાઈવાળા હિમાલયમાં હિમનદી તળાવો અને પીગળતા હિમનદીઓ અંગે સમાન પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે.આ સ્થિતિને ધ્યાને લેતા અત્યારથી પ્રાથમિક તૈયારીઓ નહીં કરવામાં આવે તો મોટું નુકસાન થવાની પુરેપૂરી ભીતિ સેવાઈ રહી છે.