કુવૈત : મિડલ ઈસ્ટ સતત તણાવ વધી રહ્યો છે. જેમાં ઇરાન-અમેરિકા વચ્ચેના વધતા લશ્કરી તણાવનું ભોગ કુવૈત બન્યું છે. કુવૈત એરપોર્ટ પર ઈરાનના હુમલામાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું છે. કુવૈતમાં ભારતીય દૂતાવાસે મૂકેલી પોસ્ટમાં જણાવ્યું છે કે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરના હુમલામાં એક ભારતીયનું મૃત્યુ થયું છે.
દૂતાવાસે ભારતીય નાગરિકના મૃત્યુ પર સંવેદના વ્યક્ત કરી
તેમજ કુવૈતમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકના મૃત્યુ પર સંવેદના વ્યક્ત કરી છે. દૂતાવાસે જણાવ્યું હતું કે તે શોકગ્રસ્ત પરિવાર તેમજ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને શક્ય તેટલી મદદ આપવા માટે કુવૈતી અધિકારીઓ સાથે નજીકનું સંકલન જાળવી રહ્યું છે.
હુમલામાં 63 લોકો ઘાયલ
જ્યારે કુવૈતના આરોગ્ય મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા ડૉ. અબ્દુલ્લા અલ-સનદે જણાવ્યું હતું કે કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તાજેતરની ઘટના બાદ અત્યાર સુધીમાં 63 ઘાયલોને સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. જેમાં સાત ઘાયલ વ્યક્તિઓ પર તાત્કાલિક મોટી સર્જરીઓ કરવામાં આવી છે. તેમજ કેટલીક નાની સર્જરી પણ કરવામાં આવી છે. ડૉક્ટરની ટીમો સતત એવા ગંભીર કેસોનું નિરીક્ષણ કરી રહી છે જેમને સઘન સંભાળ અથવા અદ્યતન સારવારની જરૂર છે.