Thu Jul 23 2026

Logo

વડોદરામાં મજબૂરીની પરાકાષ્ઠા: ન આવ્યા સગા, ન હતા પૈસા... લાચાર પત્નીએ ઝૂંપડી બહાર જ પતિના કર્યા અંતિમ સંસ્કાર

2026-05-27 13:02:00
Author: Mayur Patel
Article Image

વડોદરાઃ શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ગરીબી અને લાચારીના કારણે એક મહિલાએ તેના પતિના અંતિમ સંસ્કાર સ્મશાન ઘાટના બદલે ઝૂંપડી બહાર જ કર્યા હતા. ઘટના સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો હતો અને પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.

શું છે મામલો

માહિતી મુજબ, મહેશ રાઠોડિયા અને તેમની પત્ની જશોદાબેન છેલ્લા આશરે બે વર્ષથી વાઘોડિયા રોડ પર આવેલા ડી-માર્ટની પાછળ સરકારી જમીન પર બનેલી એક ઝૂંપડીમાં રહેતા હતા. બંને ભંગાર ભેગો કરી તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એવું કહેવાય રહ્યું છે કે અચાનક મહેશ રાઠોડિયાનું મૃત્યુ થયું હતું. પતિના મોત બાદ જશોદાબેને સંબંધીઓને જાણ કરી હતી અને અંતિમ સંસ્કાર માટે તેમના આવવાની રાહ જોતી રહી હતી.

મહિલાના જણાવ્યા અનુસાર, મોડી રાત સુધી કોઈ સંબંધી ઘટનાસ્થળે પહોંચ્યા ન હતા. આ દરમિયાન મૃતદેહમાંથી દુર્ગંધ આવવા લાગી અને તેમાં કીડા પડવા લાગ્યા. એકલતા અને ડરના કારણે જશોદાબેને કોઈની પણ સલાહ લીધા વિના ઝૂંપડીની સામે જ પતિના મૃતદેહને આગ લગાવી દીધી. થોડીવાર પછી મૃતકની માતા લક્ષ્મીબેન, ભત્રીજી વિદ્યા અને અન્ય સંબંધીઓ ઘટનાસ્થળે પહોંચ્યા તો તેમણે મહેશનો અડધો સળગેલો મૃતદેહ જોયો હતો. આ દ્રશ્ય જોઈને પરિવારના સભ્યો ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા અને સમગ્ર વાતાવરણ ગમગીન થઈ ગયું. 

ઘટનાની માહિતી મળતા જ પાણીગેટ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જરૂરી તપાસ કરીને મૃતદેહને કબજામાં લીધો હતો અને બાદમાં પરિવારજનોની હાજરીમાં ગજરાવાડી રામનાથ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાવ્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહેશ રાઠોડિયા મૂળ ડભોઈ તાલુકાના બહરામપુરા ગામના રહેવાસી હતા.

ઘણા વર્ષો પહેલા તેમના લગ્ન જશોદાબેન સાથે થયા હતા અને બંને લાંબા સમયથી પરિવારથી અલગ રહેતા હતા. પૂછપરછ દરમિયાન જશોદાબેને પોતાની મજબૂરી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પતિના મૃત્યુ બાદ તેમની પાસે અંતિમ સંસ્કાર માટે એક રૂપિયો પણ નહોતો. તેમણે કહ્યું, અમારી પાસે કોઈ સહારો નહોતો. મદદ કરવા વાળું પણ કોઈ નહોતું. મજબૂરીમાં મારે આ પગલું ભરવું પડ્યું હતું.