Sun Aug 23 2026

Logo

નારાયણ સરોવર ચિંકારા અભયારણ્યની બિનઉપયોગી જમીન ઉદ્યોગોને ફાળવવા કોંગ્રેસની માગ

2026-08-10 14:26:36
Author: Vimal Prajapati
Article Image

Chat GPT Generated image


ભુજ: રણપ્રદેશ કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના નારાયણ સરોવર ખાતેના ચિંકારા અભયારણ્ય વિસ્તારની બિનઉપયોગી જમીન ઔદ્યોગિક વિકાસ માટે ફાળવવામાં આવે તેવી માગણી કોંગ્રેસ દ્વારા રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વિગતે વાત કરવામાં આવે તો, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પી.સી. ગઢવીએ મુખ્ય પ્રદાનને પાઠવેલા પત્રમાં રજૂઆત કરી હતી કે, વર્ષ 1995માં સીમાંકન બાદ અભયારણ્યનું ક્ષેત્રફળ 444.23 ચોરસ કિલોમીટર રખાયું હતું, જેમાં ચિંકારાની સંખ્યા માત્ર 1200થી 1500 જેટલી જ છે. ચિંકારા મુખ્યત્વે 10થી 15 ટકા વિસ્તારમાં જ વસે છે, જ્યારે બાકીના મોટાભાગના વિસ્તારમાં લિગ્નાઈટ, લાઈમસ્ટોન અને બોક્સાઈટ જેવા કિંમતી ખનિજો રહેલા છે.

પત્રમાં વધુમાં જણાવાયું છે કે, ચિંકારા માટે 50 ચોરસ કિલોમીટરનો અનામત ઝોન નક્કી કરીને બાકીની જમીન પર ગ્રીન હાઈડ્રોજન, સોલાર પાર્ક અને ઉદ્યોગોને મંજૂરી આપવી જોઈએ. આ ઉપરાંત નલિયા-કોટેશ્વર રેલવે લાઈનને ધ્યાને રાખી કોટેશ્વર ખાતે જેટી નિર્માણને મંજૂરી આપી તાલુકામાં ઔદ્યોગિક પ્રગતિને વેગ આપવા પણ રજૂઆત કરાઈ છે.

(ઉત્સવ વૈદ્ય)