Fri Apr 24 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 19 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-19 08:28:53
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-19 21:38:12

પંજાબના રેકૉર્ડ-બ્રેક 254 રન, 21 સિક્સરનો વરસાદ વરસ્યો

ન્યૂ ચંડીગઢમાં પૉઇન્ટ્સ ટેબલની મોખરાની ટીમ પંજાબ કિંગ્સે લખનઊ સુપર જાયન્ટ્સ સામે પ્રથમ બૅટિંગનું આમંત્રણ મળ્યા બાદ લાભ ઉઠાવ્યો હતો અને આ વખતની સીઝનના સર્વોચ્ચ ટીમ-સ્કોર સાથે દમદાર પર્ફોર્મ કર્યું. પંજાબે 20 ઓવરમાં સાત વિકેટે 254 રન કર્યા. એ સાથે, બેંગ્લૂરુનો (ચેન્નઈ સામે 3/250)નો વિક્રમ તૂટી ગયો હતો. લખનઊ માટે 255 રનનો તોતિંગ લક્ષ્યાંક મેળવવો ખૂબ મુશ્કેલ છે. ઓપનર પ્રિયાંશ આર્ય (93 રન, 37 બૉલ, નવ સિક્સર, ચાર ફોર) અને ઑસ્ટ્રેલિયન ખેલાડી કૂપર કૉનોલી (87 રન, 46 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) પંજાબની રેકૉર્ડ-બ્રેક ઇનિંગ્સના બે મુખ્ય સ્ટાર હતા. તેમની વચ્ચે બીજી વિકેટ માટે ફક્ત 80 બૉલમાં 182 રનની વિક્રમી ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ સ્ટોઇનિસ (29 રન) અને શશાંક સિંહ (17 રન) વચ્ચે 17 બૉલમાં 44 રનની પાર્ટનરશિપ થઈ હતી. આખી ઇનિંગ્સમાં કુલ 21 છગ્ગા ફટકાવામાં આવ્યા હતા.

2026-04-19 21:29:25

પીએમ મોદીએ મમતા સરકારને આડે હાથે લીધી, કહ્યું ટીએમસીના શાસને રાજ્યને પછાત રાખ્યું

પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પગલે રાજકીય પક્ષોનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં આજે પીએમ મોદીએ મેદિનીપુરમાં એક રેલીમાં મમતા સરકારને  આડે હાથે લીધી હતી. તેમણે કહ્યું કે બંગાળમાં ટીએમસીની ક્રૂરતાને 15 વર્ષ થયા છે. જેના લીધે રાજ્ય આજે પણ અનેક ક્ષેત્રોમાં પછાત રહ્યું છે.

2026-04-19 20:22:35

લખનઊ સામે પંજાબના પ્રિયાંશ-કૂપર ધમાલી મચાવી રહ્યા છે, 98 રનની અતૂટ ભાગીદારી કરી

ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં લખનઊએ બૅટિંગ આપ્યા પછી પંજાબના ટૉપ-ઑર્ડરના બૅટ્સમેનો એનો ફાયદો લઈ રહ્યા છે. ઓપનર પ્રભસિમરન પોતાના પહેલા જ બૉલ પર ઝીરોમાં આઉટ થયો ત્યાર બાદ પ્રિયાંશ આર્ય (બાવીસ બૉલમાં 57 નૉટઆઉટ) અને કૂપર કૉનોલી (31 બૉલમાં 40 રન)ની જોડી ધમાલ મચાવી રહી હતી. નવ ઓવરને અંતે પંજાબનો સ્કોર 1/101 હતો. પ્રિયાંશ-કૂપર વચ્ચે 98 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.

2026-04-19 19:47:48

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને  આપી નવી ધમકી

મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને એક નવી ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે અમેરિકાની ટીમ સોમવારે પાકિસ્તાનના ઇસ્લામાબાદ પહોંચવાની છે. તેમજ કહ્યું છે કે અમે એક નવો કરાર રજૂ કર્યો છે. તેમજ જો ઈરાન તેનો ઇનકાર કરશે અમે તેમના પાવર પ્લાન્ટ  અને પુલને ઉડાવી દઇશ.

2026-04-19 18:34:54

યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયલે દક્ષિણ લેબનોન હુમલા કર્યા

લેબનોન અને ઇઝરાયલ વચ્ચે 10 દિવસના યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયલે દક્ષિણ લેબનોન હુમલા કર્યા છે. જેમાં ઇઝરાયલી સૈન્યએ ફરી એકવાર દક્ષિણ પ્રદેશમાં હવાઈ અને તોપખાનાના હુમલા કર્યા છે. ઇઝરાયલી સૈન્યએ આ કાર્યવાહીને નવી યલો લાઇનની દક્ષિણમાં સ્થિત જોખમો સામે લેવામાં આવેલા પગલાં તરીકે વર્ણવી હતી.

2026-04-19 17:55:02

કોલકાતા ફરી પતનના માર્ગે...પાંચ રનમાં બે વિકેટ ગુમાવી

ત્રણ ટાઇટલ જીતનાર કોલકાતાની ટીમ આ વખતે પાંચ મૅચ હારી છે અને ઈડન ગાર્ડન્સમાં રાજસ્થાન સામે જીતવા એને માત્ર 156 રનનો લક્ષ્યાંક મળ્યો છે, પરંતુ અજિંક્ય રહાણે ઍન્ડ કંપનીએ માત્ર પાંચ રનમાં બે વિકેટ ગુમાવી દીધી. ખુદ રહાણે (0) પોતાના બીજા બૉલ પર અને એ પહેલાં ટિમ સિફર્ટ (0) મૅચના પહેલા જ બૉલ પર આઉટ થયો હતો. સિફર્ટને જોફ્રા આર્ચરે ક્લીન બોલ્ડ કર્યો હતો, જ્યારે રહાણેની વિકેટ નેન્ડ્રે બર્ગરે લીધી હતી. રહાણે વિકેટકીપર જુરેલના હાથમાં કૅચ આપી બેઠો હતો. 2.4 ઓવરમાં સ્કોર 2/20 હતો અને અંગક્રિશ રઘુવંશી તથા કૅમેરન ગ્રીન પર મોટી જવાબદારી આવી પડી હતી.

2026-04-19 17:53:50

તમિલનાડુમાં ફટકાડાની ફેક્ટરીમાં વિસ્ફોટઃ 16 જણનાં મોત

તમિલનાડુના વિરુધુનગર નજીકની એક ફેક્ટરીના યુનિટમાં જોરદાર વિસ્ફોટને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ. વિરુધુનગર સ્થિત કટ્ટનારપટ્ટી વિસ્તારની એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે 16 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા. વિસ્ફોટ પછી આસપાસના પરિસરમાં અફડાતફડીના માહોલનું નિર્માણ થયું હતું. યુદ્ધના ધોરણે પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું.

2026-04-19 17:50:04

તમિલનાડુમાં ગૃહમંત્રી અમિત શાહે ડીએમકે પર આકરા પ્રહાર કર્યા

તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો પ્રચારમાં જોતરાયા છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મોડાકુરિચી વિધાનસભા મતવિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. તેમણે સત્તાધારી પક્ષ ડીએમકે પર ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદનો આરોપ લગાવ્યો હતો. તેમજ  ભાજપના ઉમેદવાર કીર્તિકા શિવકુમારને મોટા માર્જિનથી જીત અપાવવા લોકોને અપીલ કરી હતી

2026-04-19 17:28:37

શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિકની અટક

શ્રીનગર એરપોર્ટ પર બે અમેરિકન નાગરિક સેટેલાઈટ ફોન મળ્યા પછી અટક કરવામાં આવ્યા પછી તપાસ હાથ ધરવામાં આવી. જે વ્યક્તિ પાસેથી સેટેલાઈટ ફોન મળ્યો છે, જેની ઓળખ મોન્ટાના, જેફ્રી સ્કોટ તરીકે કરી છે.

2026-04-19 17:27:43

ઇરાને અમેરિકાને ધમકી આપી, કહ્યું નાકાબંધી દૂર કરો નહિતર કોઇપણ  જહાજ પસાર નહિ થાય

હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. જેના લીધે સમગ્ર વિશ્વના દેશોની ચિંતા પણ વધી છે. જેમાં ઇરાને અમેરિકાના રાષ્ટ્રપતિના નિવેદન  બાદ ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટને બ્લોક કરી દીધો છે. તેમજ ઇરાને અમેરિકાને ધમકી આપી છે કે જો તે નાકાબંધી દૂર નહિ કરે 
તો કોઇના પણ જહાજ પસાર નહિ થવા દે

2026-04-19 16:31:40

ઇઝરાયલનો દાવો લેબનોન સાથે યુદ્ધ વિરામ પૂર્વે માર્યા 150 હિઝબુલ્લાહ આતંકીઓ

અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ સાથે સાથે ઇઝરાયલે લેબનોનમાં પણ હિઝબુલ્લાહ પર પણ હવાઇ હુમલા
પણ શરૂ કર્યા હતા. જેમાં ઇઝરાયલ સૈન્યએ લેબનોન સાથે યુદ્ધ વિરામ પૂર્વે મિશન પૂર્ણ કર્યું હતું. આ અંગેની જાહેરાત
ઇઝરાયલી સંરક્ષણ દળે કરી હતી. તેમજ કહ્યું કે અમે યુદ્ધ વિરામ પૂર્વે  150 થી વધુ  હિઝબુલ્લાહ આતંકવાદીઓ અને કમાન્ડરોનો ખાતમો બોલાવ્યો હતો.

2026-04-19 16:29:31

ધંધુકા હત્યા કેસમાં SITની રચના

ગઇકાલે અમદાવાદના ધંધુકામાં સામાન્ય બાબતે થયેલી યુવકની હત્યાના બનાવની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. જેની અધ્યક્ષતા DySP પ્રકાશ પ્રજાપતિ કરશે. તે ઉપરાંત પીઆઇ રઘુ કરમટીયા, પીઆઇ કરણ વિહોલ અને પીએસઆઇ એસ.એચ. ઝાલાનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

2026-04-19 16:04:31

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો વિધિવત પ્રારંભ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખૂલ્યા

દેશમાં  ચારધામ મંદિરોમાંના મુખ્ય ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ અક્ષય તૃતીયાના દિવસે  દેશ અને વિદેશના શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ સાથે જે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ગંગોત્રી ધામની મુલાકાત લીધી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે પ્રથમ પૂજા કરી હતી.  પ્રથમ દિવસે  15,000 થી વધુ શ્રદ્ધાળુઓ બંને મંદિરોમાં દર્શન માટે પહોંચ્યા હતા.

2026-04-19 15:51:44

કોલકાતા સામે બૅટિંગ લીધા પછી રાજસ્થાનની ધીમી શરૂઆત

ઈડન ગાર્ડન્સમાં રાજસ્થાને કોલકાતા સામે ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતાએ અગાઉની ટીમ જાળવી રાખી છે, પરંતુ રાજસ્થાને ટીમમાં તુષાર દેશપાંડેના સ્થાને બ્રિજેશ શર્માનો અને લુઆન-ડ્રે પ્રિટોરિયસના સ્થાને શિમરોન હેટમાયરનો સમાવેશ કર્યો છે. કોલકાતા તમામ પાંચ મૅચ હાર્યું હોવાથી આ મૅચ એના માટે ખૂબ જરૂરી છે. રાજસ્થાનના ઓપનર યશસ્વી અને વૈભવ સૂર્યવંશીએ ધીમી શરૂઆત કરી છે. પહેલી બે ઓવરમાં વિના વિકેટે 15 રન થયા છે.

2026-04-19 15:22:01

પાકિસ્તાનમાં ઈરાન અમેરિકા વચ્ચે બીજા તબક્કાની શાંતિ મંત્રણા યોજવવાની શક્યતા

મિડલ ઈસ્ટમાં હજુ પણ  તણાવ યથાવત છે. ત્યારે ફરી એકવાર અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઇસ્લામાબાદ બીજા દોરની શાંતિ મંત્રણા યોજાવવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ તેની માટેની તૈયારીઓ પરશરૂ કરવામાં આવી છે.  જોકે, આ અંગે તેની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. હાલ અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ વિરામ ચાલી રહ્યું છે.

2026-04-19 15:01:28

ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડતા જાપાન-દક્ષિણ કોરિયા એલર્ટ

ઈરાન-અમેરિકા વચ્ચે હોર્મુઝમાં ફરી તણાવનું નિર્માણ થવાના અહેવાલ વચ્ચે ઉત્તર કોરિયાએ ફરી અનેક બેલેસ્ટિક મિસાઈલ છોડવાને કારણે દક્ષિણ કોરિયા અને જાપાનમાં ચિંતાનું નિર્માણ થયું છે. ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડ્યા પછી જાપાન અને દક્ષિણ કોરિયાએ બંને રાષ્ટ્રોએ તાત્કાલિક પોતાની સુરક્ષા વ્યવસ્થાને એલર્ટ કરી છે, જ્યારે જાપાનમાં નેશનલ ઈમરજન્સી જાહેર કર્યાના અહેવાલ.

2026-04-19 11:41:38

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી, પોલીસે કર્યો લાઠીચાર્જ

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી મચી છે. લોકો રેલિંગ કુદતા જોવા મળ્યા હતા, 8000થી વધારે મુસાફરો સામે માત્ર બે ટ્રેનની સગવડના કારણે દોડધામ મચી ગઈ હતી. વેકેશનને કારણે વતન પરતા ફરતા પરપ્રાંતિયોથી રેલવે સ્ટેશન પાસે ભીડ થઈ હતી. 2 કિમી લાંબી લાઈનમાં ઊભા રહેવા શ્રમિકે મજબૂર હતા. એવામાં રેલિંગ કુદીને જતા શ્રમિકો સામે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. રેલિંગ કુદવામાં મહિલાઓને પણ સમાવેશ થાય છે. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

2026-04-19 11:08:28

આજથી ચારધામ યાત્રાનો શુભારંભ, આવતીકાલે ગંગોત્રી-યમુનોત્રી દર્શન ખુલશે

તા.19 એપ્રિલથી ચારધામ યાત્રાનો શુભારંભ થયો છે, ભાવિકોનું પ્રથમ ગ્રૂપ આજે દર્શન માટે હરિદ્વારથી રવાના થશે. પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને પ્રાથમિક સવલતોને ધ્યાને રાખીને સમગ્ર ચારધામ યાત્રા શરૂ કરી દેવામાં આવી છે.આ વખતે કેટલાક નિયમો અનુસાર યાત્રા શરૂ કરવામાં આવી છે. આ વખતે પ્રથમ તબક્કામાં 18 લાખ પ્રવાસીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હરિદ્વાર પહોંચેલા ભાવિકો માટે એક અલગથી ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટર પણ ચાલું કરવામાં આવ્યું છે. ભાવિકોનું પ્રથમ ગ્રૂપ વહેલી સવારે રવાના થયું હતું. હર..હર..મહાદેવના નાદ સાથે આ ગ્રૂપ દર્શન માટે નીકળ્યું હતું.

2026-04-19 11:06:47

મોંઘવારી વચ્ચે રાહતના વાવડ, સિંગતેલ-કપાસિયા તેલના ભાવ ઘટ્યા

ગૃહિણીઓ માટે રાહતના વાવડ સામે આવ્યા છે, સિંગતેલના ભાવમાં ₹35 અને કપાસિયા તેલના ભાવમાં ₹30નો ઘટાડો નોંધાયો છે. આ કારણે હવે રસોડાના બજેટમાં થોડી બચત થવાના અણસાર છે. પામતેલના ડબ્બામાં પણ ₹20નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળનું કારણ માર્કેટમાં નવી આવક, તેલ આપતા ઉત્પાદનમાં તોંતિગ વધારો અને કેટલાક વૈશ્વિક પરિબળો જોડાયેલા છે. આ ઘટાડાથી મધ્યમવર્ગના પરિવારોમાં આનંદ છે.

2026-04-19 09:52:52

ધરમપુરમાં ST બસની બ્રેક ફેઈલ

વલસાડ જિલ્લાના ધરમપુરમાં ST બસની બ્રેક ફેઈલ,ધરમપુરથી ખપટિયા જતી બસની બ્રેક થઈ ફેઈલ થઈ હતી. બસ ચાલકની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી છે. બ્રેક ફેલ થતા બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સમયસૂચકતાથી બસ પથ્થર સાથે અથડાવીને અટકાવી દેવામાં આવી હતી,19 મુસાફરો સહિત ચાલક અને કંડકટરનો જીવ બચ્યો છે.

2026-04-19 09:38:22

બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું મૃત્યું

બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડની તબિયત લથડ્યા બાદ તેમનું મોત નીપજ્યું છે.છેલ્લા બે દિવસથી એમની સારવાર ચાલી રહી હતી. જેથી આ બેઠકની ચૂંટણી મોકુફ રહે તેવા સંજોગો ઊભા થયા છે. બે દિવસ પહેલા શુગર ઘટી જતા સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એ પછી એમની સ્થિતિ નાજુક હતી. વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે, સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે.

2026-04-19 09:23:59

ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ઈરાનનું ડેમેજ કંટ્રોલ

ઈરાનના ગાર્ડ દ્વારા ભારતીય જહાજો પર ફાયરિંગની ઘટના બાદ ભારતના વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂતનો સંપર્ક કર્યો હતો. આ મામલે હવે ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ દાવો કર્યો કે, તેમને આવી કોઈ ફાયરિંગની ઘટનાની જાણ નથી. ભારત અને ઈરાનના 5 હજાર વર્ષ જૂના સંબંધો રહ્યા છે. ભારતને હોર્મુઝ જળમાર્ગથી મોટો ફાયદો થયો છે, જોકે ભારતના વિદેશ મંત્રાલયે જહાજો અને નાવિકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.  એવી કડક ચેતવણી આપતા આ પ્રતિક્રિયા સામે આવી છે.