લખનઉઃ ઉત્તર પ્રદેશ વરસાદ અને વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. છેલ્લા બે દિવસથી ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભયંકર વાવાઝોડા સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે. આ કુદરતી આપદામાં અત્યારે સુધીમાં ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં 111 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે 170થી વધારે પશુઓનું પણ મોત થયું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે 70થી વધારે લોકો આ દરમિયાન ઘાયલ પણ થયાં છે.
200થી વધારે ઘરોને નુકસાન પહોંચ્યું
ભારે વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયાં છે. જેના કારણે 200થી વધારે ઘરોને નુકસાન પહોંચ્યું છે. છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કેટલું નુકસાન થયું તે અંગે તપાસ કરવા માટે સીએમ યોગીએ આદેશ આપ્યાં છે. આ સાથે પીડિતોને પણ સંભવ દરેક પ્રકારની મદદ કરવામાં માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે સાથે મહેસૂલ વિભાગ, કૃષિ વિભાગ અને વીમા કંપનીઓને આ નુકસાન અંગે સર્વેક્ષણ કરવામાં માટે કહેવામાં આવ્યું છે.
કયાં જિલ્લા કેટલા લોકોના મોત થયા?
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગુરુવારથી શુક્રવાર સવાર દરમિયાન વાવાઝોડા અને વરસાદને કારણે 17 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. બુધવારે કુલ 24 લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વિગતે જોઈએ તો, ભદોહીમાં 16 લોકોના મોત થયા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કુંવર વીરેન્દ્ર કુમાર મૌર્યએ મૃત્યુની પુષ્ટિ કરી છે. ફતેહપુરમાં 9 લોકોના મોત થયા છે અને 16 ઘાયલ થયા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ ત્રિપાઠીએ 5 મહિલાઓ સહિત 9 લોકોના મોતની પુષ્ટિ કરી છે.