Tue Aug 18 2026

Logo

ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર પરિસરમાં આવેલા નાગચંદ્રેશ્વર મંદિરમાં ભાગદોડ; 13 લોકો ઘાયલ, મંદિર સમિતિએ અફવા ગણાવી

2026-08-17 13:12:00
Author: Vimal Prajapati
Article Image

ઉજ્જૈનઃ શ્રાવણ મહિનાના ત્રીજાસ સોમવારે શિવ મંદિરમાં ભક્તોની ભીડ વધારે રહેતી હોય છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં છે. વર્ષમાં માત્ર એક જ વખત ખુલતા નાગચંદ્રેશ્વર મંદિરમાં દર્શન કરવામાં આવેલા ભક્તોમાં નાસભાગ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ નાસભાગમાં 13થી વધારે લોકો ઘાયલ થયા હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. જો કે, મંદિર વ્યવસ્થાપન સમિતિના કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલો પર આ નાસભાગની આ ઘટનાને અફવા અને ભ્રામક ગણાવી છે.

નાસભાગમાં 13થી વધારે લોકો ઘાયલ થયા

વિગતે વાત કરવામાં આવે તો, ઉજ્જૈનમાં આવેલ નાગચંદ્રેશ્વર મંદિર વર્ષમાં માત્ર એક વખત ખુલતું હોય છે. જેથી અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ દરમિયાન ભીડ વધારે હોવાથી કેટલાક શ્રદ્ધાળુઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. જેમાં કેટલાક શ્રદ્ધાળુઓ બેભાન થઈ ગયાં હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ દરમિયાન ફરજ પર તૈનાત સુરક્ષા કર્મીઓ દ્વારા ઘાયલોને ભીડમાંથી બહાર નીકાળ્યા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં હતાં.  સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ઘટનામાં 13 થી વધારે શ્રદ્ધાળુઓની હાલત ખરાબ થઈ હોવાનું જાણવા મળ્યું છે. 

6.19 લાખથી વધારે શ્રદ્ધાળુઓ મહાકાલના દર્શન કર્યાં

આ મંદિરની વાત કરવામાં આવે તો મળતી જાણકારી પ્રમાણે સવારથી લઈને અત્યાર સુધીમાં 6.19 લાખથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યાં છે. નોંધનીય છે કે, નાગચંદ્રેશ્વર મંદિરના દ્વાર વર્ષમાં માત્ર એક જ વખત ખોલવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો આવ્યાં હોવાથી આ ઘટના સર્જાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પરંતુ મહત્વની વાત એ છે કે, મંદિર વ્યવસ્થા સમિતિ દ્વારા આ દાવાઓને નકારી દેવામાં આવ્યાં છે. 
 

મંદિર સમિતિએ આ અફવા પર ધ્યાન ના આપવા માટે અપીલ કરી છે. આ સાથે સમિતિએ કહ્યું કે, નાગપંચમી, શ્રાવણનો સોમવારે અને ભગવાન શ્રી મહાકાલેશ્વની સવારી આ ત્રણેય એક જ દિવસે હોવાથી શ્રદ્ધાળુઓ વધારે આવી રહ્યાં છે. મંદિર સમિતિના જણાવ્યાં પ્રમાણે 6.19 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને વ્યવસ્થિત દર્શન થઈ શકે તે માટે સંપર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. સમિતિએ ભક્તોને અપીલ કરી છે કે તેઓ ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરે અને ભ્રામક કે અપ્રમાણિત સમાચાર શેર ન કરે!