ચેન્નાઈ: તમિલનાડુમાં સરકારના મંત્રીઓને આજે વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે પોતાના પાસે સૌથી વધુ વિભાગો જાળવી રાખ્યા છે. તેમણે જાહેર બાબતો, સામાન્ય વહીવટ, IAS, IPS, IFS,જિલ્લા મહેસૂલ અધિકારીઓ, પોલીસ, ગૃહ, વિશેષ કાર્યક્રમ અમલીકરણ, મહિલા કલ્યાણ, યુવા કલ્યાણ, બાળકો, વૃદ્ધો અને અપંગ વ્યક્તિઓનું કલ્યાણ, મ્યુનિસિપલ વહીવટ અને શહેરી અને પાણી પુરવઠા વિભાગો પોતાની પાસે રાખ્યા છે.
સેલ્વી એસ. કીર્થના ઉદ્યોગ મંત્રાલય અને કે.એ. સેંગોટૈયાન નાણા મંત્રાલયનો હવાલો
આ ઉપરાંત તેમણે સેલ્વી એસ. કીર્થના ઉદ્યોગ મંત્રાલય અને કે.એ. સેંગોટૈયાન નાણા મંત્રાલયનો હવાલો સોંપ્યો છે. જ્યારે એન. આનંદ - ગ્રામીણ વિકાસ અને જળ સંસાધન મંત્રી, આધવ અર્જુન - જાહેર બાંધકામ અને રમતગમત વિકાસ મંત્રી, ડૉ. કે.જી. અરુણરાજ - આરોગ્ય, તબીબી શિક્ષણ અને પરિવાર કલ્યાણ મંત્રી, પી. વેંકટરામન - ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી, આર. નિર્મલકુમાર - ઉર્જા સંસાધન અને કાયદા મંત્રી,રાજમોહન - શાળા શિક્ષણ, તમિલ વિકાસ, માહિતી અને જનસંપર્ક મંત્રી, ડૉ. ટી.કે. પ્રભુ - કુદરતી સંસાધન મંત્રીનો હવાલો સોંપ્યો છે.
ટીવીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યો
આ પૂર્વે તમિલનાડુમાં ભારે રાજકીય રસાકસી વચ્ચે થલાપતિ વિજયના નેતૃત્વ હેઠળ ટીવીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યો હતો. જેમાં 140 થી વધુ ધારાસભ્યોનો ટેકો મળ્યો હતો. ટીવીકેએ તમિલનાડુ વિધાનસભામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીવીકે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી, જોકે તે પોતાના દમ પર બહુમતીનો આંકડો હાંસલ કરવામાં અસમર્થ રહી હતી.