અમદાવાદઃ સુરતના એક વેપારીએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેકઓફ કરતા પહેલા ઇમરજન્સી એક્ઝિટ ડોર ખોલ્યો હતો, ત્યારબાદ ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટમાંથી તેને ઉતારી લેવામાં આવ્યો હતો.
આ ઘટના બપોરે ૩ વાગ્યાની આસપાસ બની હતી જ્યારે મુસાફરો ઇન્ડિગોની ફ્લાઇટ 6ઈ-419માં બેઠા હતા, જે બપોરે ૩:૨૦ વાગ્યે ગોવા જવા રવાના થવાની હતી. ઇમરજન્સી એક્ઝિટ દરવાજો ખુલતા જ એરપોર્ટ સત્તાવાળાઓ અને સીઆઈએસએફ કર્મચારીઓ વિમાન તરફ દોડી ગયા હતા. હિતેન્દ્ર મણિયા નામના મુસાફરને વિમાનમાંથી ઉતારી પૂછપરછ માટે ડુમસ પોલીસને સોંપવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
ડુમસ પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર મણિયાએ ઇમરજન્સી એક્ઝિટ ખોલવાની વાત સ્વીકારી હતી, પરંતુ દાવો કર્યો હતો કે તે આકસ્મિક હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે પોતાની સીટ પર બેસવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ભૂલથી સીટનું હેન્ડલ સમજી તેને ખેંચી લીધું હતું અને ઇમરજન્સી એક્ઝિટ ડોર ખુલી ગયો. તેણે તરત જ કેબિન ક્રૂના સભ્યને જાણ કરી હતી, જેણે પછી પાઇલટને ચેતવણી આપી હતી. મણિયા મિત્રો સાથે ગોવા જઈ રહ્યો હોવાની માહિતી પણ પોલીસે આપી હતી. જોકે પોલીસ હજુ આ ઘટનાની વિશેષ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.