Fri Sep 04 2026

Logo

ભારત-પાક સરહદનું અનોખું સુચેતગઢ: જ્યાં ૧૦૦ વર્ષ જૂનું વડનું ઝાડ અડધું પાકિસ્તાનમાં છે!

2026-09-01 21:51:19
Author: Mumbai Samachar Team
ભારત-પાક સરહદનું અનોખું સુચેતગઢ: જ્યાં ૧૦૦ વર્ષ જૂનું વડનું ઝાડ અડધું પાકિસ્તાનમાં છે!

જીગર પંડ્યા

જમ્મુઃ જમ્મુના મુખ્ય શહેરથી આશરે ૨૮ કિલોમીટર દૂર આવેલી સુચેતગઢ બોર્ડર (ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ) પોતાના ખાસ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ માટે જાણીતી છે. એટલે જમ્મુમાં આવેલી બોર્ડરનું સાચું નામ સુચેતગઢ બોર્ડર છે, જેને ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે ઓળખવામાં આવે છે. જમ્મુના મુખ્ય શહેરથી આશરે ૨૮ કિલોમીટર અને આર.એસ. પુરા થી આશરે નવ કિલોમીટર દૂર આવેલી છે. જયારે સરહદની પેલે પાર પાકિસ્તાનનું પ્રખ્યાત શહેર સિયાલકોટ  માત્ર ૧૧ કિલોમીટર દૂર આવેલું છે


ભારત-પાકિસ્તાનના ભાગલા (૧૯૪૭) પહેલા જમ્મુ અને સિયાલકોટ વચ્ચે ૧૮૯૭માં શરૂ થયેલી જૂની રેલવે લાઇનના અવશેષો અને જૂની ઇમારતો પણ અહીંના રસ્તે જોવા મળે છે. સરહદ રેખા (Zero Line) પર એક વિશાળ અને આશરે ૧૦૦ વર્ષ જૂનું વડનું વૃક્ષ આવેલું છે, જે અડધું ભારતમાં છે અને અડધું પાકિસ્તાનમાં, જે અહીં વાચકો ફોટો જોઈ શકે છે.

અમૃતસરની વાઘા બોર્ડરની જેમ જ અહીં પણ BSFના જવાનો દ્વારા ભવ્ય રીટ્રીટ સેરેમની પરેડનું આયોજન કરવામાં આવે છે પણ પાકિસ્તાન તરફથી કોઈ પરેડ હોતી નથી, માત્ર ભારતીય જવાનો જ પ્રવાસીઓ માટે આ પરેડ કરે છે. જે શનિવાર અને રવિવારે પ્રવાસીઓ સાંજે પાંચથી 6 વાગ્યે જોઈ શકે છે.

સુચેતગઢ બોર્ડર પોસ્ટ, રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવી છે. સુચેતગઢ બોર્ડર પોસ્ટ મુખ્ય જમ્મુથી 28 કિમી દૂર છે. જમ્મુથી નઈ બસ્તી-ગુલાબગઢ જવાનો રસ્તો 1947 પહેલાના ટ્રેન રૂટને અનુસરે છે અને રસ્તામાં ઘણી જૂની ઇમારતો જોઈ શકાય છે. 

વિભાજન પહેલાના યુગમાં સુચેતગઢ પોસ્ટ સિયાલકોટ જવાના માર્ગ તરીકે સેવા આપતી હતી, જે પોસ્ટથી માત્ર 11 કિમી દૂર છે અને અગાઉ આ સ્થળે ઓક્ટ્રોય પોસ્ટ હતી. આ બોર્ડર પર જ આ એક ભવ્ય મંદિર સંકુલ છે જેનું નિર્માણ મહારાજા ગુલાબ સિંહ અને તેમના પુત્ર મહારાજા રણબીર સિંહે 1853 થી 1860ની વચ્ચે કરાવ્યું હતું. 

જયારે 1971 માં ભારત પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે આ મંદિર પર પાકિસ્તાન સેનાએ બૉમ્બ મારો કર્યો હતો, જેમાંથી બે બૉમ્બ મંદિરના શિખર પર પડ્યા હતાં પણ મંદિરની અંદરની છતને નુકશાન થયું છતાંયે આ મંદિર અડીખમ ઊભું છે. આ બૉમ્બ મારાંના નિશાન આજે પણ અહીં જોવા મળે છે અને સાક્ષાત ભગવાન શ્રી રામ સરહદ પર રક્ષા કરે છે.. BSF ના જવાનો અહીં પૂજા અર્ચના કરે છે. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતા અહીં બિરાજમાન છે.