જો તમારું સેવિંગ્સ એકાઉન્ટ કે સેલેરી એકાઉન્ટ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે. ખિસ્સા સાથે સીધા જોડાયેલા છે. પહેલી ઓક્ટોબર, 2026થી એસબીઆઈ એટીએમ (ATM)માંથી રોકડ ઉપાડ અને ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. બેંક દ્વારા સત્તાવાર વેબસાઇટ પર આ અંગેની માહિતી અપડેટ કરવામાં આવી છે, જે અંતર્ગત નિયત ફ્રી લિમિટ પૂરી થયા બાદ ગ્રાહકોએ વધુ ચાર્જ ચૂકવવો પડશે. ચાલો જાણીએ આ વિશે વિસ્તારથી....
બેઝિક સેવિંગ્સ ખાતાધારકોને ચાર ફ્રી ટ્રાન્ઝેક્શન પછી લાગશે ચાર્જ:
બ્રાન્ચ મારફતે ખોલવામાં આવેલા બીએસબીડી સેવિંગ્સ ખાતાધારકોને દર મહિને ચાર ફ્રી રોકડ ઉપાડની સુવિધા મળતી રહેશે. એક મહિનામાં ચાર ફ્રી ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી દરેક એટીએમ વિડ્રોલ પર રૂપિયા 15 + જીએસટી ચૂકવવો પડશે. નિયમિત રીતે વારંવાર રોકડ ઉપાડતા ગ્રાહકોએ હવે પોતાના ટ્રાન્ઝેક્શનની સંખ્યા પર વિશેષ ધ્યાન રાખવું પડશે.
અન્ય બેંકના ATM પર લિમિટ ઘટાડી:
SBI સેલેરી એકાઉન્ટ હોલ્ડર્સ માટે અન્ય બેંકોના એટીએમ કે પછી ઓટોમેટેડ ડિપોઝિટ એન્ડ વિડ્રોલ મશીન પર ડેબિટ કાર્ડથી મળતી માસિક ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ 10થી ઘટાડીને માત્ર પાંચ ટ્રાન્ઝેક્શન કરી દેવામાં આવી છે.
નોન-ફાઇનાન્સિયલ સર્વિસ પણ લિમિટમાં ગણાશે:
આ પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટમાં માત્ર રોકડ ઉપાડ જ નહીં, પરંતુ બેલેન્સ ચેક કરવું અને મિની સ્ટેટમેન્ટ કાઢવા જેવી નોન-ફાઇનાન્સિયલ સેવાઓનો પણ સમાવેશ થાય છે.
ફ્રી લિમિટ સમાપ્ત થયા બાદ કેટલો ચાર્જ લાગશે?
પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ પૂરી થયા બાદ અન્ય બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડવા પર દરેક ટ્રાન્ઝેક્શન દીઠ રૂપિયા 23 + જીએસટી ચાર્જ લાગશે. ફ્રી બેલેન્સ ઈન્કવાયરીની લિમિટ પૂરી થયા પછી બેલેન્સ ઈન્ક્વાયરી કે મિની સ્ટેટમેન્ટ માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂપિયા 11 + જીએસટી ચૂકવવો પડશે.