(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાઉઝ એવન્યુ સ્પેશિયલ કોર્ટે કથિત દારૂ કૌભાંડ લાંચ કેસમાં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ સહિત 23 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.
બંને નેતાઓને કોર્ટ તરફથી ક્લીનચીટ મળી છે અને આ બંને નેતાઓ માટે મોટી રાહત છે. કોર્ટે સીબીઆઈની પણ ઝાટકણી કાઢી હતી. આ સમગ્ર મામલા પર ટિપ્પણી કરતા શિવસેના ઠાકરે જૂથના નેતા અને સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરતાં એવી માગણી કરી હતી કે મોદી-શાહે કેજરીવાલની માફી માંગવી જોઈએ.
દિલ્હી સરકારની દારૂ નીતિમાં કૌભાંડના આરોપસર અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને અન્ય 23 લોકોની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આખા દેશે જોયું કે રાજ્યના મુખ્ય પ્રધાન (કેજરીવાલ) લગભગ ઘસડીને લઈ ગયા હતા. વડા પ્રધાન મોદી, અમિત શાહ, તત્કાલીન ઉપરાજ્યપાલ, આ બધાએ એક મોટું માનહાનિનું અભિયાન ચલાવ્યું હતું.
કેજરીવાલ કહી રહ્યા હતા કે દારૂ નીતિમાં કોઈ ગેરરીતિ થઈ નથી. છતાં, પહેલા લોકસભા ચૂંટણી આવી, કેજરીવાલને બેઠકો જીતવા માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા. પછી તેમણે વિધાનસભા જીતવા માટે આ મુદ્દો ઉઠાવ્યો હતો, એમ રાઉતે કહ્યું હતું.