કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં વર્ષ 2024ના આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઇની મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસની નવેસરથી તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે રાજ્યની પોલીસ કેસની પ્રારંભિક તપાસ યોગ્ય રીતે હાથ ધરવામાં નિષ્ફળ ગઈ છે.
નવેસરથી તપાસની જાહેરાત
સીએમ સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે મૃતક ડોક્ટરની માતા જે હવે ભાજપના ધારાસભ્ય છે તેમની વિનંતી પર આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, રત્ન દેબનાથે મને પત્ર લખીને આ મામલામાં નવેસરથી તપાસની વિનંતી કરી હતી. મુખ્ય સચિવ અને નિષ્ણાતોની ટીમ સાથે વિગતવાર ચર્ચા કર્યા પછી હું તપાસ કમિશન અધિનિયમ, 1952 હેઠળ નવેસરથી તપાસની જાહેરાત કરી રહ્યો છું.
જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ
તેમણે આરોપ લગાવ્યો કે પોલીસ આ કેસમાં તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે મહિલા ડોક્ટરના અંતિમ સંસ્કાર દરમિયાન કથિત બેદરકારીની અલગ તપાસનો પણ આદેશ આપ્યો અને જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો.