મુંબઈ: ગઈ કાલે રવિવારે ગુવાહાટીમાં રમાયેલી IPL 2026ની ત્રીજી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીએ શાનદાર ઇનિંગ રમી. વૈભવે 17 બોલમાં 52 રન બનાવ્યા, તેણે માત્ર 15 બોલમાં ફિફ્ટી પૂરી કરી. આ સાથે તેને ભારતની સિનિયર ટીમમાં સ્થાન આપવાની માંગ વધુ પ્રબળ બની છે.
મોહમ્મદ કૈફ અને માઈકલ વોન જેવા દિગ્ગજોએ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રો ઇન્ડિયા (BCCI)ને માંગ કરી છે કે IPL 2026 બાદ વૈભવને સિનિયર ટીમમાં સામેલ કરવામાં આવે. ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો મત અલગ છે, તેણે વૈભવને વધુ રાહ જોવા કહ્યું છે.
નોંધનીય છે કે રવિચંદ્રન અશ્વિન તેમની યુટ્યુબ ચેનલ પર સતત પોતાના મંતવ્યો વ્યક્ત કરતા રહે છે.એક વિડીયોમાં અશ્વિને કહ્યું કે સૂર્યવંશીના ડેબ્યૂમાં ઉતાવળ ન કરવી જોઈએ, કેમ કે તેને હજુ બે દાયકા સુધી ક્રિકેટ રમવાનું છે.
વિડીયોમાં અશ્વિને કહ્યું, "તે હજુ પુખ્ત પણ નથી, તે એક બાળક છે. એમએસ ધોની 45 વર્ષ સુધી રમી રહ્યો છે, માનો કે જો સૂર્યવંશી 40 વર્ષ સુધી રમે છે, તો તેને અઢી દાયકા ક્રિકેટ રમવાનું બાકી છે. તેના પર દબાણ ન કરો, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે પોતાની મેળે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવશે. તે આખરે ભારતીય ટીમ માટે. ક્યારે રમશે? એ પ્રશંના જવાબ માટે આપણે થોડી રાહ જોવી પડી શકે છે. આપણે હંમેશા ઉતાવળમાં કેમ રહીએ છીએ?"