Mon Jul 27 2026

Logo

પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ સાથે ટેલીફોનિક વાતચીત કરી, હોર્મુઝ સ્ટ્રેટ અંગે પણ ચર્ચા

2026-03-17 22:47:46
Author: Chandrakant Kanoja
Article Image

AI Generated Images


નવી દિલ્હી: મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ સાથે ટેલીફોનિક વાતચીત કરી છે.  પીએમ મોદીએ તેમને ઈદની શુભેચ્છા પાઠવી છે. તેમજ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પણ ચર્ચા કરી હતી. 

હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સલામત અને મુક્ત પરિવહન  સુનિશ્ચિત કરવા સંમત 

આ અંગે પીએમ મોદીએ એક્સ પર લખ્યું હતું કે, મે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદને  ઈદની આગોતરી શુભેચ્છાઓ પાઠવી હતી. અમે પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી. નિર્દોષ લોકોના જીવ ગયા અને નાગરિક માળખાને નુકસાન થયું તેવા યુએઈ પરના તમામ હુમલાઓની ભારતની કડક નિંદાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમજ અમે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સલામત અને મુક્ત પરિવહન  સુનિશ્ચિત કરવાના મહત્વ પર સંમત થયા. અમે પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પાછા લાવવા એ પ્રાથમિકતા

ઉલ્લેખનીય છે કે, મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના વિદેશ મંત્રાલયે મીડિયાને સંબોધિત કર્યું  હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ઈરાન અને અન્ય દેશો સાથે ચર્ચા ચાલી રહી છે. તેમજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પાછા લાવવા એ પ્રાથમિકતા છે.

ઈરાન સાથે પણ ચર્ચા 

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "ઈરાન અને અન્ય દેશો સાથે અમારી ચર્ચા ચાલુ છે. જેમ કે અમારા વિશેષ સચિવે નોંધ્યું છે કે  હોર્મુઝ સ્ટ્રેટ ક્ષેત્રમાં ઘણા જહાજો છે. અમારો હેતુ ઈરાન અને અન્ય રાષ્ટ્રો સાથે સંકલનમાં કામ કરવાનો છે જેથી આ જહાજોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત થાય. આ બાબતે ચર્ચાઓ ચાલુ છે. અમે માનવતાવાદી સહાય સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ઈરાન સાથે પણ ચર્ચા કરી રહ્યા છીએ.