ભાવનગર: હાલ તો ગુજરાતીઓમાં અથાણાંની સીઝન જામી છે. કાચી કેરી અને મસાલાના આગમન સાથે દરેક ગુજરાતી પરિવારના ઘરમાં આખા વર્ષ માટેના અથાણાં બનાવવાની કામગીરી ચાલતી હોય છે. જો કે આ વર્ષે સ્થિતિ એવી છે કે મોંઘવારીની અસર હવે અથાણાં પર પણ જોવા મળી રહી છે.
ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટમા અથાણા માટેની ખાસ રાજાપુરી કાગડા/તોતા સહિતની કેરીનું આગમન થઈ ચૂક્યું છે. રાજાપુરી ખાસ મુરબ્બો માટે વપરાય છે. કાગડા/તોતા કેરી બટકા કરીને થતા અથાણા માટે આ કેરી ખાટી ઓછી હોવાના કારણે વાપરવામાં આવે છે. જોકે આ વખતે ગૃહિણીઓ માટે અથાણું ખાટું પડશે. અથાણા મા વપરાતી મોટાભાગની વસ્તુઓ ગતવર્ષ કરતા દોઢ ગણી મોંઘી હોવાના કારણે.
આર્થિક રીતે સામાન્ય પરિવાર માટે દરેક ચીજ વસ્તુઓમાં વધતી મોંઘવારીએ જીવનને દોહ્યલું બનાવી દીધું છે. અનેક પરિવારો એવા છે જેઓને ભોજનમા બંને સમય અથાણું પીરસવામાં આવે છે. જે પરિવારમાં શાક ન બન્યું હોય તો અથાણાથી ચલાવી લેવાય છે.
પણ હવે સ્થિતિ એવી છે કે આ વર્ષે અથાણું પણ મોંઘું બન્યું છે.ત ળાજા માર્કેટમાં રાજાપુરી કાગડા તોતા કેસર કેરી આવવા લાગી છે.ગતવર્ષે ૪૦-૫૦ રૂપિયે મળતી કેરી આ ખાસ કરીને રાજાપુરી રૂ.૭૦-૮૦ ની કિલોએ વેચાય છે. મરચાના ભાવમાં પણ ગત વર્ષ કરતા આ વખતે દોઢાભાવ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમાંય કાશ્મીરી મરચમાં ડબલ ભાવ છે. રાય, મેથી કુરિયા,તેલ પણ ગતવર્ષ કરતા મોંઘું છે.