Wed Aug 26 2026

Logo

ધોની વિનાની એક મેચ તે આવનારા સમયને લઈને કોઈ સંકેત નથીઃ ફ્લેમિંગ

2026-03-30 21:37:31
Author: Mumbai Samachar Team
ધોની વિનાની એક મેચ તે આવનારા સમયને લઈને કોઈ સંકેત નથીઃ ફ્લેમિંગ

ગુવાહાટી: ચેન્નઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે એ વાતને ફગાવી દીધી હતી કે આઈપીએલના શરૂઆતના સપ્તાહમાં મહેન્દ્ર સિંહ ધોનીનું ઈજાને કારણે ટીમમાંથી બહાર રહેવું તેની વિદાય પછીની ટીમની એક ઝલક બતાવે છે. ફ્લેમિંગે ભારપૂર્વક કહ્યું કે આ અનુભવી ખેલાડીની ટીમ મપર અસર હજુ સુધી છે.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે “આ તેના વિના એક મેચ હશે, પરંતુ એમએસ ધોની પછીની જિંદગીની ઝલક નહીં. તે હજુ પણ ટીમ સાથે જોડાયેલો છે. અમે તેની ઈજા પર નજર રાખી રહ્યા છીએ અને તેને ફરીથી ફિટ કરવા પર કામ કરી રહ્યા છીએ. પરંતુ ટીમ પર તેની અસર ખૂબ જ મજબૂત છે.”

ફ્લેમિંગે કહ્યું કે “દરેક ટીમ ઈજાઓનો સામનો કરી રહી છે. આધુનિક ક્રિકેટ ખેલાડીઓ પર ભારે શારીરિક દબાણ નાખે છે અને તે વર્કલોડ મેનેજમેન્ટ અને ઈજામાંથી ફરીથી સ્વસ્થ થવા અંગે છે. મુખ્ય ખેલાડીઓનું સ્થાન લેવું મુશ્કેલ હોય છે પરંતુ અમારી પાસે ખાસ કરીને ભારતમાં એટલી પ્રતિભા છે કે અમે મજબૂત ટીમો મેદાનમાં ઉતારી શકીએ છીએ.

નોંધનીય છે કે ધોની બાદ ટીમનો સ્ટાર યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસ પણ ઇજાના કારણે શરૂઆતની મેચમાંથી બહાર થઈ ગયો છે.