Wed Aug 19 2026

Logo

ભારતીય રેલવેની નવી સુવિધા: હવે ટ્રેનમાં વધારાના સામાનનું બુકિંગ પણ થશે ઓનલાઈન, જાણો નિયમો અને ચાર્જ

2026-07-31 21:42:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: ટ્રેનમાં મુસાફરી દરમિયાન વધારે સામાન સાથે રાખતા મુસાફરો માટે ભારતીય રેલવેએ મહત્વની સુવિધા શરૂ કરી છે. હવે વધારાના સામાનનું બુકિંગ કરાવવા માટે સ્ટેશન પર પાર્સલ કાઉન્ટરની લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. 31 જુલાઈ 2026થી કન્ફર્મ ટ્રેન ટિકિટ ધરાવતા મુસાફરો પોતાના સાથે લઈ જવાના વધારાના સામાનનું ઓનલાઈન બુકિંગ કરી શકશે અને તેનો ચાર્જ પણ ઓનલાઈન ચૂકવી શકશે. રેલવે બોર્ડે 20 જુલાઈએ તમામ ઝોનલ રેલવેને આ વ્યવસ્થા લાગુ કરવા સૂચના આપી હતી.

આ સુવિધા માત્ર કન્ફર્મ રિઝર્વેશન ટિકિટ ધરાવતા અને પોતાના સામાન સાથે રિઝર્વ કોચમાં મુસાફરી કરનારા મુસાફરો માટે છે. વેઇટિંગ લિસ્ટ અથવા RAC ટિકિટ ધરાવતા મુસાફરોને હાલમાં આ સુવિધાનો લાભ મળશે નહીં. ઓનલાઈન બુકિંગ દરમિયાન મુસાફરોને તેમની ક્લાસ પ્રમાણે મફતમાં કેટલો સામાન લઈ જઈ શકાય, મહત્તમ વજન કેટલું છે, કઈ વસ્તુઓ લઈ જવાની મંજૂરી નથી અને મર્યાદા કરતાં વધુ સામાન માટે કેટલો ચાર્જ અથવા દંડ લાગી શકે છે તેની માહિતી પણ આપવામાં આવશે.

મફત સામાનની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ફર્સ્ટ ACમાં 70 કિલો, ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ACમાં 50 કિલો, થર્ડ AC, AC ચેર કાર અને સ્લીપર ક્લાસમાં 40 કિલો, જ્યારે સેકન્ડ ક્લાસમાં 35 કિલો સુધીનો સામાન મફતમાં લઈ જઈ શકાય છે. જો મુસાફર આ મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવા માંગે તો વધારાના સામાનનું બુકિંગ કરાવી શકાશે. તેના માટે લાગુ લગેજ દરના 1.5 ગણો ચાર્જ ચૂકવવો પડશે અને ત્યારબાદ મંજૂર મર્યાદા હેઠળનો વધારાનો સામાન પોતાના રિઝર્વ કોચમાં લઈ જઈ શકાશે.

આ નવી વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો એ છે કે વધારાના સામાન માટે હવે અલગથી સ્ટેશન પર દોડધામ કરવાની જરૂર નહીં પડે. ટિકિટ બુકિંગ સાથે જ લગેજની પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરી શકાશે.
 
ખાસ કરીને પરિવાર સાથે મુસાફરી કરનારા, લાંબી મુસાફરી કરતા અથવા વધુ સામાન લઈને જતા મુસાફરો માટે આ સુવિધા સમય બચાવનારી સાબિત થઈ શકે છે. જોકે મુસાફરોએ મુસાફરી પહેલાં પોતાના સૂટકેસ અને બેગનું વજન ચેક કરી લેવું પડશે, જેથી ફ્રી લગેજ મર્યાદા અને વધારાના સામાનના ચાર્જ અંગે છેલ્લી ઘડીએ મુશ્કેલી ન પડે.

જો કે હવે પ્રશ્ન એ થાય છે કે જો પ્રવાસીઓ વધારાનો સામાન પોતાની સાથે રિઝર્વ કોચમાં લઈ જશે તો તેનાથી અન્ય મુસાફરોને પ્રવાસ દરમ્યાન હાલાકીનો સામનો કરવો પડી શકે છે. કારણ રેલવેના ડબ્બામાં આ સમાન રાખવા માટે વધારાની જગ્યા નથી તેમ જ રાળવે તરફથી એ પાન સપસ્થતા નથી કરાઇ કે વધારાનો સમાન લગેજ કોચમાં મૂકી શકાશે કે કેમ? તેથી પ્રવાસીઓમાં આ મુદ્દે સવાલ ઊભા થયા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રેનમાં જગ્યાના અભાવે વિવાદ થવા કોઈ નવી વાત નથી, પરંતુ સમાન વધારવાની લિમિટ આપીને ગમે તેટલો સામાન લઈ જવાની પરવાનગી જો રેલવે આપશે તો સહપ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી શકે છે.