મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે એલપીજી, પીએનજી અને આગ તેમજ વિદ્યુત શોર્ટ-સર્કિટને કારણે થતાં જોખમોને પહોંચી વળવા કડક પ્રતિબંધાત્મક સલામતીનાં પગલાં ફરજિયાત કરવાના નિર્દેશો જારી કર્યા હતા. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રિલીફ ઍન્ડ રિહેબિલલિટેશન વિભાગ દ્વારા ૧૭ જુલાઈના રોજ જારી કરાયેલ આદેશ રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડાયરેકટર અને તમામ જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવ્યો હતો. અધિકારીના જણાવ્યા મુજબ રિટ પિટિશન પર બોમ્બે હાઈ કોર્ટના તાજેતરના ચુકાદાને પગલે આ આદેશ આવ્યો છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ સૂચનાને ટાંકીને જણાવ્યું હતું કે, હાઈ કોર્ટના નિર્દેશોને અનુસરીને, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ઇલેક્ટ્રિકલ આગ, ઔદ્યોગિક અને રાસાયણિક દુર્ઘટના અને ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ જેવી પુનરાવર્તિત આપત્તિઓ રોકવા અંગેલના પગલાનુંં પાલન તમામ જિલ્લાઓમાં વ્યવસ્થિત રીતે પૂર્ણ થવું જોઈએ.
તેમણે કહ્યું હતું કે જાહેર સુરક્ષા કાર્યકર્તા અને બોમ્બે હાઈકોર્ટના એડવોકેટ વિકાસ બી પાટીલ-શિરગાંવકરની સતત હિમાયતને પગલે આ આદેશ જારી કરવામાં આવ્યો હતો, જેમણે મહારાષ્ટ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ‘જનસુરક્ષા યોજના’ (જાહેર સુરક્ષા યોજના)ના અમલીકરણ માટે બ્લુ પ્રિન્ટ સબમિટ કરવા મુંબઈમાં તાજેતરમાં મહારાષ્ટ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રધાન ગિરીશ મહાજન સાથે બેઠક કરી હતી.
ઉચ્ચ-સ્તરીય બેઠક દરમ્યાન પ્રધાને વિભાગીય વડાને તમામ નવા બાંધવામાં આવેલા રહેણાંક, વ્યાપારી, ઔદ્યોગિક અને જાહેર ઈમારતોમાં બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) પ્રમાણિત ગેસ લીક ડિટેક્શન સિસ્ટમ્સ સ્થાપિત કરવા માટે જરૂરી દરખાસ્તની સંપૂર્ણ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. (પીટીઆઈ)