Wed Jul 29 2026

Logo

જિતેન્દ્ર સિંહે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર: PM ન બની શક્યા તો પીએમ હાઉસ બહાર ધામા નાખ્યા...

2026-07-29 16:53:51
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં પેપરલીક સાથે જોડાયેલા મહત્ત્વના બિલ પર 50 મિનિટ સુધી સ્પીચ આપી હતી. આ દરમિયાન તેમણે 'ઈડિયટ' અને 'અંધભક્ત' જેવા શબ્દોનો પ્રયોગ કરતા મામલો ગરમાયો હતો. લોકસભામાં સતત બીજા દિવસે પણ હંગામો થયો હતો. એન્ટિ પેપર લીક બિલ મુદ્દે ચર્ચા થઈ રહી હતી. આ જ ચર્ચામાં રાહુલ ગાંધીએ પોતાની વાત મૂકી હતી. રાહુલ ગાંધીએ જે શબ્દોનો પ્રયોગ કર્યો એના પર બબાલ થઈ ગઈ હતી. 

રાહુલ ગાંધીએ એવો આરોપ લગાવ્યો હતો કે, ગૃહમંત્રી અમિત શાહના આદેશ પર વિદ્યાર્થીઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું, આ વાત પછી લોકસભામાં બબાલ થઈ ગઈ હતી. આ ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે સૌથી પહેલા રાહુલ ગાંધી પર શાબ્દિક વાર કર્યો હતો. 

સંસદમાં બોલાયેલા શબ્દો અયોગ્ય

મંત્રીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ અપશબ્દનો ઉપયોગ કર્યો છે.એમની પાસે સાર્વજનિક જીવનનો અનુભવ ઓછો હોય એવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધી વડા પ્રધાન ન બની શક્યા તો વડા પ્રધાન આવાસની બાહર બેસી ગયા હતા. વિરોધ પક્ષના નેતા દ્વારા ઉપયોગમાં લેવાયેલા અપમાનજનક શબ્દો બિનસંસદીય છે. ભલે માનનીય સભ્ય પોતાને 'ઈડિયટ' માને, પણ તેઓ આવી ભાષાનો ઉપયોગ કરી શકતા નથી. 

તેઓ નિયમોથી અજાણ છે. જો આ શબ્દો કોઈ ચોક્કસ વ્યક્તિ તરફ નિર્દેશિત ન હતા, તો શું તે વિદ્યાર્થીઓ માટે હતા? જો વિદ્યાર્થીઓને 'ઈડિયટ્સ' કહેવામાં આવે તો તેનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ કંઈ નથી. જ્યારે રાહુલજી દાવો કરે છે કે ગૃહમંત્રીએ ફાયરિંગ કરવાનો આદેશ આપ્યો હતો ત્યારે તેઓ કોઈ પુરાવા આપી શકતા નથી. ફાયરિંગ કરવાનો આદેશ મંત્રી નહીં, પરંતુ ડીએમ કે એસડીએમ જેવા મેજિસ્ટ્રેટ આપે છે. 

ગૃહ મંત્રી 30 વાહનના કાફલા સાથે મુસાફરી કરતા નથી

રાહુલ ગાંધીને જાહેર જીવનમાં અનુભવનો અભાવ છે. હકીકતમાં કોઈ પ્રકારે ફાયરિંગ થયું જ નથી. ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાહુલજીએ આરોપ લગાવ્યો હતો કે અમિત શાહ 30 વાહનોના કાફલા સાથે હતા. તેમને ખબર નથી કે ગૃહમંત્રી 30 વાહનોના કાફલા સાથે મુસાફરી કરતા નથી કે શાહ વિદેશ ગયા નથી. તથ્યો વિના ગૃહમાં આવા બેજવાબદાર નિવેદનો આપવા અને પછી ચાલ્યા જવું એ વિરોધ પક્ષના નેતા પાસેથી અપેક્ષિત વર્તન નથી.

50 મિનિટનું ભાષણ આપ્યું

રાહુલ ગાંધીએ પેપર લીક સંબંધિત બિલ અંગે 50 મિનિટનું ભાષણ આપ્યું. તેમણે "ઈડિયટ" અને "અંધભક્ત" જેવા શબ્દોનો ઉપયોગ કર્યો અને વધુમાં આરોપ લગાવ્યો કે, ગૃહમંત્રીએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. 

આનાથી શાસક પક્ષે ભારે હોબાળો મચાવી દીધો હતો. ભાજપના સાંસદોએ આનો વિરોધ કર્યો, રાહુલ ગાંધી પર બિનસંસદીય ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. સ્પીકર ઓમ બિરલાએ તેમને અગિયારથી વધુ વખત અટકાવ્યા અને કહ્યું કે તેઓ આવા બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કરી શકતા નથી. 

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સ્પીકરને ગૃહની કાર્યવાહીમાંથી આ શબ્દો દૂર કરવા વિનંતી કરી.તા. 21 જુલાઈના રોજ વિપક્ષના નેતા પીએમના નિવાસસ્થાનની બહાર જઈને બેઠા હતા. રાહુલ ગાંધીની ઈચ્છા વડા પ્રધાન બનવાની હતી. પણ આ ઈચ્છા એની કોઈ રીતે પૂરી થઈ નથી. જ્યારે તે સ્વપ્ન સાકાર ન થયું, ત્યારે તેઓ પીએમના નિવાસસ્થાનની બહાર જઈને બેઠા. જ્યારે તેમને સમજાવવામાં આવ્યા અને દૂર જવા માટે વિનંતી કરવામાં આવી, ત્યારે તેમણે દાવો કર્યો કે તેમને બળજબરીથી દૂર કરવામાં આવ્યા છે.