ધનબાદ: ઝારખંડના ધનબાદમાં ગેસ લીકેજની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે કેટલાક લોકો કથિત રીતે ભંગારના લોખંડની ચોરી કરવા ગયા હતા અને ભરેલા ગેસ સિલિન્ડરને કાપી નાખ્યો હતો. જેના લીધે ગેસ લીક થયો હતો.
આ ઘટના ભંગાર ચોરી દરમિયાન બની
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ભંગાર ચોરી દરમિયાન બની હતી. જેના કારણે વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે વહેલી સવારે ધનબાદના મુનીડીહ વિસ્તારમાં બની હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
ભરેલા ગેસ સિલિન્ડરને કાપી નાખ્યો હતો
મુનીડીહ સ્ટેશન ઇન્ચાર્જ મણિકા તિવારીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક લોકો લોખંડના ભંગારની ચોરી કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટના જોતા એવું લાગે છે કે તેઓએ ભરેલા ગેસ સિલિન્ડરને કાપી નાખ્યો હતો અને ગેસ લીક થયો હતો. જેના લીધે ઘટના સ્થળે હાજર લોકો બેભાન થઈ ગયા.
પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી
આ અંગે ધનબાદના એસએસપી પ્રભાત કુમારે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે શહીદ નિર્મલ મહંતો મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ દિનેશ કુમાર ગિંડોરિયાએ માહિતી આપી હતી કે કુલ પાંચ લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે બે વ્યક્તિઓને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસ આ મામલાના તમામ પાસાઓની સક્રિય તપાસ કરી રહી છે.