નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પગલે એવિએશન જેટ ફ્યુઅલના ભાવમાં વધારો થયો છે. જેના પગલે એરલાઈન કંપનીઓએ એક પછી એક ટિકિટના ભાવમાં વધારો કરવાની શરુઆત કરી છે. જેમાં ઇન્ડિગોએ આજથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના ટિકિટના ભાવ વધાર્યા છે. જેની બાદ હવે અકાસા એર દ્વારા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટિકિટોના ભાવ પર ઇંધણ સરચાર્જ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારો રૂપિયા 199 રૂપિયા 1,300 સુધીનો હશે. આ ભાવ વધારાનો અમલ 15 માર્ચના રોજથી કરવામાં આવશે.
જેટ ઇંધણના ભાવમાં તીવ્ર વધારો
મિડલ ઇસ્ટમાં મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે જેટ ઇંધણના ભાવમાં વધારો થવાને કારણે એરલાઇન્સના સંચાલન ખર્ચમાં વધારો થયો છે. તેમજ ટિકિટના ભાવમાં વધારા બાદ મુસાફરોએ તેમની મુસાફરીનું આયોજન કરતી વખતે આ વધારાના ખર્ચને ધ્યાનમાં લેવો પડશે. આ પગલાથી હવાઈ મુસાફરી થોડી મોંઘી થશે. મિડલ ઇસ્ટ ચાલી રહેલા તણાવને કારણે જેટ ઇંધણના ભાવમાં તીવ્ર વધારા બાદ એર ઇન્ડિયા, ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસે પહેલાથી ટિકિટના ભાવમાં વધારો કર્યો છે.
ઇંધણના ભાવમાં 85 ટકાથી વધુનો વધારો
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણના ભાવમાં થયેલા નોંધપાત્ર વધારાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. જેટ ફ્યુઅલ મોનિટર અનુસાર, આ ક્ષેત્રમાં ઇંધણના ભાવમાં 85 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એરલાઇનના સંચાલન ખર્ચનો મોટો ભાગ છે. આ અચાનક ભાવવધારાથી તમામ એરલાઇન્સના ખર્ચ અને નેટવર્ક પર નોંધપાત્ર અસર પડશે.
ઇન્ડિગોએ પણ ફ્લાઈટની ટિકિટના ભાવમાં વધારો કર્યો
ઉલ્લેખનીય છે કે, ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ તમામ ટિકિટોના ભાવમાં 14 માર્ચથી વધારો કરવાની જાહેરાત કરી હતી. ઇન્ડિગોએ ફ્લાઇટ ટિકિટના ભાવમાં રૂપિયા 425 થી રૂપિયા 2,300 સુધીનો વધારો કર્યો છે. જે મુસાફરો પાસેથી ઇંધણ સરચાર્જ તરીકે વસૂલવામાં આવશે. ઇન્ડિગોએ માહિતી આપી હતી કે ફ્લાઇટ ટિકિટના નવા ભાવ 14 માર્ચ, 2026 થી અમલમાં આવશે.