નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં સશસ્ત્ર સંઘર્ષને કારણે ભારતમાં પેટ્રોલિયમ અને ઇંધણની અછત ઉભી થઇ છે, એવામાં યુએસએ ભારતને 5 માર્ચના રોજ રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા 30 દિવસની છૂટ આપી છે. અહેવાલ મુજબ આ છૂટ મળ્યા બાદ ભારતીય રિફાઇનરીઓએ રશિયા પાસેથી 30 મિલિયન બેરલ પેટ્રોલિયમ ખરીદ્યું છે.
નોંધનીય છે કે યુએસના દબાણને કારણે ભારત ગત વર્ષથી રશિયા પાસેથી પેટ્રોલિયમની ખરીદી ઘટાડી રહ્યું છે, યુએસ સાથે વેપાર સોદા માટે ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમની ખરીદી સંપૂર્ણ બંધ કરવા તૈયાર થયું હતું. તેના બદલે સાઉદી અરેબિયા અને ઇરાકથી પેટ્રોલિયમની ખરીદીમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ 28 ફેબ્રુઆરી બાદ પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરુ થયા બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર બંધ થઇ ગઈ છે, સાઉદી અરેબિયા અને ઇરાકથી ભારતને મળતો પેટ્રોલિયમનો પુરવઠો બંધ થઈ ગયો હતો.
આ રીફાઈનર્સે ખરીદી કરી:
ગયા અઠવાડિએ યુએસએ ભારતને રશિયા પસેથી પેટ્રોલિયમ ખરીદવા છૂટ આપી હતી. અહેવાલ મુજબ ઇન્ડિયન ઓઇલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત ભારતીય રિફાઇનર્સે રશિયન ક્રૂડ ઓઈલના ન વેચાયેલા કાર્ગોને સ્પોટ માર્કેટમાં ખરીદી લીધા છે. આં જહાજોમાં પેટ્રોલિયમ ભરવામાં આવ્યું હતું, કોઈ કારણોસર સોદો રદ થતા સમુદ્રમાં જ હાજર હતાં.
અહેવાલ મુજબ ભારત સરકારની માલિકીની કંપની ઇન્ડિયન ઓઇલએ 10 મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું, રિલાયન્સે પણ 10 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું. જો કે ઇન્ડિયન ઓઇલ અને રિલાયન્સે સત્તાવર રીતે આ અંગે માહિતી આપી નથી.
નોંધનીય છે કે યુએસ 5 માર્ચ પહેલા જહાજો પર લોડ કરવામાં વેળા રશિયન ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો માટે છૂટ આપી છે.