હિંગોલી: હિંગોલી જિલ્લામાં જૂની અદાવતને લઇ ગોળી મારીને યુવકની હત્યા કરવામાં આવ્યા બાદ પોલીસે શિવસેનાના નગરસેવક સહિત 16 સામે ગુનો દાખલ કર્યો હતો.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર હિંગોલી જિલ્લાના કલમનુરી ટાઉનમાં બુધવારે રાતના આ ઘટના બની હતી. મૃતકની ઓળખ લુકમાન સિદ્દીકી (38) તરીકે થઇ હતી.
પોલીસે જણાવ્યું હતું કે જૂની અદાવતને લઇ શિવસેનાના નગરસેવક કિશોર ભાલેરાવ સહિત અન્ય લોકો સાથે લુકમાનનો ઝઘડો થયો હતો, જેમાં લુકમાન પર ગોળીબાર કરવામાં આવતાં તે ઘાયલ થયો હતો અને બાદમાં મૃત્યુ પામ્યો હતો.
આ ઘટના બાદ નગરસેવરક ભાલેરાવ તથા અન્ય પંદર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેમની શોધ ચલાવવામાં આવી રહી છે.દરમિયાન કૉંગ્રેસનાં સાંસદ વર્ષા ગાયકવાડે આ ઘટનાને લઇ રાજ્ય સરકારની ટીકા કરી હતી અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા.
ગાયકવાડે એક્સ પર પોસ્ટ કરી હતી કે ‘મહારાષ્ટ્રમાં કાયદાનું શાસન ખતમ થઇ ગયું છે. સત્તાના જોરે ગુંડાઓને શાહી આશ્રય મળ્યો છે. ગુંડાઓ સત્તામાં બેઠેલા લોકોની છાયામાં નિર્ભય છે, જ્યારે સામાન્ય નાગરિકો ભયભીત થઇ ગયા છે.’ (પીટીઆઇ)