Fri Apr 24 2026

Logo

એક જ વ્યક્તિના ૫ વોટર આઈડી કાર્ડ! કોંગ્રેસે ચૂંટણી પંચની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

2026-04-24 16:29:02
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ
: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યમાં 'વોટ ચોરી' થતી હોવાના ગંભીર આક્ષેપો કરીને રાજકીય ગરમાવો લાવી દીધો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ડુપ્લિકેટ મતદારોનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. તેમણે પુરાવા સાથે દાવો કર્યો કે માત્ર નવસારીની ચોર્યાસી વિધાનસભા બેઠક પર જ અંદાજે 30,000 જેટલા ડુપ્લિકેટ મતદારો નોંધાયેલા છે. જો આખા ગુજરાતમાં આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવે, તો બોગસ મતદારોનો આ આંકડો 62 થી 70 લાખ સુધી પહોંચી શકે છે તેવી ભીતિ તેમણે વ્યક્ત કરી હતી.

વધુમાં, અમિત ચાવડાએ સુરતનો એક ચોંકાવનારો કિસ્સો રજૂ કર્યો હતો. જેમાં ભટાર-વેસુ-ડુમસ વોર્ડમાં અશોક મંગલરામ ચૌધરી નામના એક જ વ્યક્તિના નામે, એક જ ફોટોગ્રાફ સાથે પાંચ અલગ-અલગ મતદાર આઈડી કાર્ડ જારી કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમણે આ બાબતને વોટ ચોરીનું મોદી મોડેલ ગણાવતા ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો હતો કે, ચૂંટણી પંચ આખરે કોના ઈશારે અને કોને ફાયદો પહોંચાડવા માટે આ પ્રકારે કામ કરી રહ્યું છે? ભૂતકાળમાં પણ આ અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન આવ્યો હોવાનું કહીને તેમણે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.

વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ પર આકરા પ્રહારો કરતા ગંભીર આક્ષેપો કર્યા હતા. મેવાણીએ સોશિયલ મીડિયા પર પોતાની રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે અને અધિકારીઓ ભાજપના અંગત એજન્ટ બનીને લોકશાહીની હત્યા કરી રહ્યા છે. 

તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપના ઉમેદવારોને ખુલ્લેઆમ મદદ કરવામાં આવી રહી છે, જ્યારે કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિને 'વહીવટી આતંકવાદ' ગણાવી મેવાણીએ ભારતીય ચૂંટણી પંચને તાત્કાલિક દખલગીરી કરવા અને સ્થાનિક ચૂંટણીઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા કડક અપીલ કરી હતી.