નવી દિલ્હીઃ જંતર મંતર સિઝન 2ની તૈયારી કરી રહેલા સીજેપીને એક સોસાયટીમાં જવું ભારે પડ્યું છે. જંતર મંતર સિઝન 2 માટે સીજેપીના કાર્યકર્તાઓ સભા માટે જગ્યા શોધી રહ્યાં હતા, પરંતુ કોઈ જગ્યા મળી નહીં. દરેક લોકોએ આ લોકોને હોલ કે જગ્યા ભાડે આપવાની ના પાડી દીધી! એટલે આ ટીમ એક રેસિડેન્શિયલ સોસાયટીમાં જઈને સભા કરી રહ્યાં હતાં. આ દરમિયાન રેસિડેન્શિયલ સોસાયટીના સ્થાનિકો આવી પહોંચ્યા અને આ લોકોનો વિરોધ કર્યો હતો. સોસાયટીના લોકોએ કહ્યું કે, આ પાર્ટ ધરણા કરવા કે રાજકીય સભા કરવા માટે નથી!
સોસાયટીના સ્થાનિકોએ સીજેપીનો વિરોધ કર્યો
સ્થાનિકો અને સીજેપી કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બબાલ થઈ તેના કારણે પોલીસ બોલાવવી પડી હતી. આખરે પોલીસે પહોંચીને મામોલ થાળે પાડ્યો. જો કે, સ્થાનિકોના વિરોધના કારણે અભિજીત દીપકેને પોતાના સાથિઓ સાથે અહીંથી પાછા જવું પડ્યું હતું. દીપકેનો આક્ષેપ છે કે, અમને સભા કરવા માટે કોઈ જગ્યા આપવા તૈયાર નથી. દરેક લોકો ના પાડી રહ્યાં છે કે અમને ઉપરથી પ્રેશર આવી રહ્યું છે. આ માટે સીજેપીએ ભાજપને જવાબદાર ગણાવી અને આક્ષેપ કર્યો છે.
અભિજીત દીપકેએ આ માટે ભાજપ પર આક્ષેપ કર્યો
એક વીડિયામાં દીપકેએ કહ્યું કે, અમને ઘણાં પ્રયત્નો બાદ એક હોલ મળ્યો હતો, તેના માટે અમે પહેલા જ ચૂકવણી પણ કરી દીધી હતી. પરંતુ પછી બીજા દિવસે એ હોલ પણ કેન્સલ થઈ ગયો! આક્ષેપ એવો છે કે, ભાજપ આ લોકોને ધમકાવી રહી છે તેના કારણે તેમને સભા માટે જગ્યા નથી મળી રહી! જગ્યા ના મળતા આ લોકો એક સોસાયટીના પાર્કમાં જઈને સભા કરી રહ્યાં હતા. ત્યાં પણ સ્થાનિકોએ વિરોધ કરીને કાઢી મૂક્યાં હતાં.
સ્થાનિક લોકોએ સ્પષ્ટ કર્યું કે, આવી કોઈ પણ હરકતો ત્યાં સહન કરવામાં આવશે નહીં. આ પાર્ક સોસાયટીના રહેવાસીઓ માટે છે અને તેનો ઉપયોગ ધરણા કે રાજકીય પ્રદર્શન માટે થઈ શકશે નહીં. બંને પક્ષો વચ્ચે દલીલ થઈ. સ્થાનિકોએ દીપકે અને તેના સમર્થકોને પાર્ક ખાલી કરવા કહ્યું હતું. એટલે દીપકેને સીજેપીના કાર્યકર્તાઓ અને તેના સાથીઓ સાથે તે વિસ્તાર છોડવો પડ્યો હતો.