નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં વધતાં યુદ્ધ વચ્ચે ભારતે ગેસ સપ્લાયને સતત જાળવી રાખ્યો છે. ભારતે 5 કિલોગ્રામના LPG સિલિન્ડરનો પુરવઠો વધારી દીધો છે. તેમજ ઘરેલુ ઉપયોગ માટે પીએનજી કનેક્શનના વિસ્તરણને પણ વેગ આપ્યો છે. એક સત્તાવાર નિવેદન અનુસાર 23 માર્ચથી 13 લાખથી વધુ 5 કિલોગ્રામના LPG સિલિન્ડર વેચાયા છે.જેનું દૈનિક વેચાણ હવે 100,000 યુનિટને વટાવી ગયું છે. જેમાં સરકારે સ્થળાંતરિત કામદારો અને ઓછી આવક ધરાવતા ગ્રાહકો સુધી પહોંચ વધારવા માટે આ 5 કિલોગ્રામના LPG સિલિન્ડરનો પુરવઠો વધાર્યો છે.
4.24 લાખથી વધુ નવા પીએનજી કનેક્શન
આ જ સમયગાળા દરમિયાન 4.24 લાખથી વધુ નવા પીએનજી કનેક્શન પૂરા પાડવામાં આવ્યા હતા. જ્યારે 30,000 થી વધુ ગ્રાહકોએ પીએનજી પર સ્વિચ કરવા માટે તેમના LPG કનેક્શન છોડી દીધા હતા. યુદ્ધના લીધે વૈશ્વિક ઉર્જા પુરવઠા પર ગંભીર અસર પડી છે.
ઘરેલુ ગ્રાહકો માટે LPG પુરવઠાને પ્રાથમિકતા
આ ઉપરાંત કેન્દ્ર સરકારે ઘરેલુ ગ્રાહકો માટે LPG પુરવઠાને પ્રાથમિકતા આપી છે જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ જેવા કોમર્શિયલ ગ્રાહકો માટે પુરવઠો ઘટાડ્યો છે. જેમાં ફેબ્રુઆરીમાં દરરોજ આશરે 77,000 સિલિન્ડર વેચાતા હતા, પરંતુ છેલ્લા 2-3 અઠવાડિયામાં આ આંકડો 100,000 થી વધુ થઈ ગયો છે.
કોમર્શિયલ LPGની ઉપલબ્ધતા 70 ટકાએ પહોંચી
આ અંગે એક નિવેદન અનુસાર, ઘરેલુ LPG પુરવઠો એકંદરે સ્થિર છે. તેમજ અછતના કોઇ માહિતી નથી. જેમાં 11 એપ્રિલના રોજ 52 લાખથી વધુ સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા હતા. કોમર્શિયલ LPGની ઉપલબ્ધતા પણ હવે પહેલાના સ્તરના લગભગ 70 ટકા પર પુનઃસ્થાપિત થઈ ગઈ છે.