Wed Jul 22 2026

Logo

કેન્દ્રએ મહારાષ્ટ્રના દસ હજાર કરોડના પ્રોજ્ક્ટને આપી મંજૂરી, મુંબઈ,થાણે નાસિકનો ટ્રાફિક થશે હળવો

2026-02-15 17:55:52
Author: Pooja Shah
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના બે મોટા પ્રોજેક્ટ માટે રૂ. 10,000 કરોડની ફાળવણી કરી હતી. આ અનુસંધાનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરી જણાવ્યું હતું કે નાશિક, થાણે અને મુંબઈના દૈનિક જીવનને સરળ બનાવવા, પ્રાદેશિક પરિવહન વધારવા અને લાખો લોકોને રાહત આપવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યો છે.

કેન્દ્ર સરકારે કસારા-મનમાડ કોરિડોરની ત્રીજી અને ચોથી રેલવે લાઈનને મંજૂરી આપી છે. કુલ 131 કિલોમીટરનો વિસ્તાર રૂ. 10, 154 કરોડના ખર્ચે તૈયાર થશે, જે આ ત્રણેય શહેરોની માળખાકીય સુવિધાઓમાં વધારો કરશે. 
આ પ્રોજેક્ટ પૂરો થવાનો સમયગાળો પાંચ વર્ષનો રહેશે. આ લાઈન કાર્યરત થયા પછી કસારા-ઈગતપુરી સેક્શનના એન્જિનનું બેંકિંગ કરવું પડશે નહીં. આ સાથે આ રૂટ પરથી વધારે સેપેન્જર ટ્રેન પણ પસાર થઈ શકશે. 

શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રૂ.3,320.38 કરોડના પ્રોજેક્ટ્ને મંજૂરી આપી હતી, જેમાં મહારાષ્ટ્રમાં એનએચ-160એ ના 154.635 કિલોમીટર લાંબા ઘોટી-ત્ર્યંબક (મોખાડા)-જવાહર-મનોર-પાલઘર સેક્શનના પુનર્વસન અને અપગ્રેડેશનને પણ સમાવેશ થાય છે. 

નાશિકના પશ્ચિમ ભાગમાં, અંબાડ અને સાતપુરની આસપાસ, મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા વિકસિત ઔદ્યોગિક વસાહતો હતી, અને આ વિસ્તારમાં ભારે ટ્રાફિક હતો.  હાલમાં, આ ટ્રાફિક નાશિક શહેરમાંથી એનએચ-848 દ્વારા પસાર થાય છે, જેના કારણે શહેરી રસ્તાઓ પર દબાણ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એનએચ-160-એ ના અપગ્રેડેશનથી આ ઔદ્યોગિક વિસ્તારોમાંથી ત્ર્યંબક થઈને વૈકલ્પિક માર્ગ મળશે, જે શહેરને બાયપાસ કરશે અને ભીડ ઘટાડશે.

આ સાથે મુંબઈ અને દક્ષિણથી આવતા વાહનો એનએચ-848 પર ઇગતપુરી ખાતેના ઇન્ટરચેન્જ દ્વારા સમૃદ્ધિ એક્સપ્રેસવેનો ઉપયોગ કરશે. ત્યારબાદ, તેઓ એનએચ-848 પર ઘોટી સુધી આવી અને ત્ર્યંબક અને નાશિક જવા માટે એનએચ-160એનો ઉપયોગ કરશે. 2028 થી, આ રૂટ પર દરરોજ 10,000 થી વધુ કાર જોવા મળશે તેવી અપેક્ષા છે, જેથી ચાર લેનની જરૂરિયાત ઊભી થશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.