Sun Jul 26 2026

Logo

રામલલાના દર્શને જતા પહેલા વાંચી લેજો નવા નિયમો: મોબાઈલ અને હથિયારો પર પ્રતિબંધ

2026-03-15 12:54:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરે દર્શન કરવા આવતા ભક્તોની સતત વધતી સંખ્યા અને આગામી રામનવમીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા અને મંદિરની સુરક્ષાને પ્રાધાન્ય આપીને કેટલીક નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ નવા નિયમોનો હેતુ દર્શન પ્રક્રિયાને વધુ સુગમ બનાવવાનો અને કોઈપણ પ્રકારની અણધારી ઘટનાને રોકવાનો છે.

મોબાઈલ અને સુરક્ષાકર્મીઓ પર પ્રતિબંધ

ટ્રસ્ટના સચિવ ચંપત રાયે સ્પષ્ટ કર્યું છે કે હવેથી રામ જન્મભૂમિ સંકુલમાં મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, સુરક્ષાના કારણોસર એક મહત્વનો નિર્ણય લેવાયો છે કે જો કોઈ વ્યક્તિ પોતાના અંગત સુરક્ષાકર્મી (ગાર્ડ) સાથે દર્શન કરવા આવશે, તો તે સુરક્ષાકર્મીને સંકુલની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં. ભક્તોએ સંકુલની બહાર જ મોબાઈલ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓ જમા કરાવવાની રહેશે, જેથી મંદિરની મર્યાદા અને સુરક્ષા જળવાઈ રહે.

હથિયારો પર પ્રતિબંધ

સંકુલની અંદર લાઇસન્સવાળી રિવોલ્વર, બંદૂક કે તલવાર જેવા કોઈપણ ઘાતક હથિયારો લઈ જવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે, શીખ સમુદાયના સભ્યો માટે તેમના ધાર્મિક અધિકારો અને કાયદાકીય જોગવાઈઓ મુજબ નાની 'કિરપાણ' ધારણ કરવાની છૂટ રહેશે. આ સિવાય અન્ય કોઈપણ વ્યક્તિ હથિયાર સાથે પ્રવેશ કરી શકશે નહીં. ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય મંદિર પરિસરને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવાના ભાગરૂપે છે.

ભક્તો માટે વિશેષ સુવિધાઓ

આગામી રામ નવમીના તહેવારમાં ઉપવાસ રાખતા શ્રદ્ધાળુઓ માટે ટ્રસ્ટ દ્વારા ખાસ ફરાળી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સંકુલમાં ફળ, મખાણા, મગફળી અને બટાકાની ચિપ્સ જેવી ફરાળી વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થશે. આ ઉપરાંત ભક્તો માટે પીવાના શુદ્ધ પાણી અને શૌચાલયની પૂરતી સુવિધા એસેમ્બલી એરિયા પાસે રાખવામાં આવી છે. પ્રવેશ માટેના ખાસ ગેટની વિગતવાર માહિતી આગામી એક-બે દિવસમાં જાહેર કરવામાં આવશે, જેથી ભક્તોને મુશ્કેલી ન પડે.