Wed Aug 19 2026

Logo

કુખ્યાત ગેંગસ્ટર-નેતા અતિક અહેમદના પરિવારમાં અઢી વર્ષમાં છનાં મોત, હવે કોણ બચ્યું ?

2026-08-06 14:10:00
Author: Mayur Patel
Article Image

લખનઉઃ કુખ્યાત ગેંગસ્ટર-નેતા અતિક અહેમદના પુત્ર આબાનનું આજે ઝાંસીમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અતિક અહેમદના પરિવારમાં અઢી વર્ષમાં છનાં મોત થયા હતા. હવે તેના પરિવારમાં પત્ની શાઈસ્તા પરવીન, પુત્રો ઉમર અહમદ,  અલી મહમદ અને અહઝમ બચ્યા છે.

અતિક અહેમદના પરિવારમાં અઢી વર્ષમાં કયા છનાં મોત થયા

24 ફેબ્રુઆરી 2023: પ્રયાગરાજમાં બસપા ધારાસભ્ય રહેલા રાજૂ પાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેમના બે સરકારી ગનરની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડનો આરોપ અતીક અહેમદ અને તેની ગેંગ પર લાગ્યો હતો. આ પછી ઉત્તર પ્રદેશ પોલીસ અને STFએ આરોપીઓ સામે મોટું અભિયાન શરૂ કર્યું હતું. આ જ કાર્યવાહીએ અતિકના સમગ્ર ગુનાહિત નેટવર્કને હચમચાવી દીધું અને પછીના કેટલાક મહિનાઓમાં અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ સામે આવી હતી.

27 ફેબ્રુઆરી 2023: ઉમેશ પાલ હત્યાકાંડના માત્ર ત્રણ દિવસ પછી પ્રયાગરાજ પોલીસે આરોપી અરબાઝને નેહરુ પાર્ક પાસે ઘેરી લીધો હતો. પોલીસનો દાવો હતો કે તેણે પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું, જેના જવાબમાં થયેલા એન્કાઉન્ટરમાં તે માર્યો ગયો ula. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, ઉમેશ પાલ હત્યાકાંડમાં ઉપયોગમાં લેવાયેલી ક્રેટા કાર તે જ ચલાવી રહ્યો હતો. આ એન્કાઉન્ટર પછી પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ વધુ તેજ કરી દીધી. અરબાઝ અતિકના પરિવારનો ખૂબ જ નજીકનો હતો.

6 માર્ચ 2023: ઉમેશ પાલ હત્યાકાંડનો વધુ એક આરોપી વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન પણ 6 માર્ચ 2023ના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. પોલીસનો દાવો હતો કે તેણે જ ઉમેશ પાલ પર પહેલી ગોળી ચલાવી હતી. તેના પર પણ ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી પછી પોલીસનું ધ્યાન સીધું અતિક અહેમદના પરિવાર અને તેના નજીકના શૂટરો પર આવી ગયું હતું.

13 એપ્રિલ 2023: લગભગ દોઢ મહિના સુધી ફરાર રહ્યા પછી અતિક અહેમદના ત્રીજા પુત્ર અસદ અહેમદ અને તેના સાથી ગુલામને ઉત્તર પ્રદેશ STFએ ઝાંસીમાં ઘેરી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બંનેએ ટીમ પર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ વળતી કાર્યવાહીમાં બંને માર્યા ગયા હતા. અસદ પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું અને તેને ઉમેશ પાલ હત્યાકાંડનો મુખ્ય આરોપી માનવામાં આવતો હતો. ઘટનાસ્થળેથી વિદેશી પિસ્તોલ, કારતૂસ અને મોટરસાઇકલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

STFની આ જ કાર્યવાહીમાં અસદનો નજીકનો સાથી ગુલામ પણ માર્યો ગયો. પોલીસના જણાવ્યા અનુસાર તે પણ ઉમેશ પાલ હત્યાકાંડનો મુખ્ય આરોપી હતો અને લાંબા સમયથી ફરાર હતો. તેના પર પણ 5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર હતું. અસદ અને ગુલામના એન્કાઉન્ટરે સમગ્ર મામલાને રાષ્ટ્રીય કક્ષાએ ચર્ચાનો મુદ્દો બનાવ્યો હતો.

15 એપ્રિલ 2023: અસદના એન્કાઉન્ટરના બે દિવસ પછી 15 એપ્રિલ 2023ની રાત્રે પ્રયાગરાજમાં સૌથી સનસનાટીભરી ઘટના સામે આવી હતી. પોલીસ અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને મેડિકલ તપાસ માટે  હૉસ્પિટલ લઈ જઈ રહી હતી. બંને હાથકડીમાં હતા અને મીડિયાના કેમેરા લાઈવ કવરેજ કરી રહ્યા હતા. ત્યારે જ પત્રકાર બનીને ટોળામાં ઘૂસેલા ત્રણ હુમલાખોરોએ ખૂબ જ નજીકથી બંને પર ફાયરિંગ કર્યું હતું. ગણતરીની સેકન્ડોમાં જ અતિક અને અશરફનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.  

અતિક અને અશરફની હત્યાના તરત જ પછી પોલીસે ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી લીધી. તેમની ઓળખ લવલેશ તિવારી, અરુણ મૌર્ય અને સની સિંહ તરીકે થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ત્રણેય પહેલાં પણ ગુનાહિત કેસોમાં સામેલ હતા. 

માર્ગ અકસ્માતમાં આબાનનું મોત
અતિક અહેમદના પરિવાર પર મોતનો સિલસિલો અહીં જ અટક્યો નહોતો. આજે તેના પુત્ર આબાનનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માત સમયે તે જેલમાં બંધ પોતાના ભાઈ અલી અહેમદને મળવા જઈ રહ્યો હતો. વર્ષ 2023માં આબાન અને તેનો ભાઈ અહઝામ, બંને સગીર હતા. અતિક અને શાહિસ્તા સામેની કાર્યવાહી પછી તેમને બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યા હતા. પાછળથી ઓક્ટોબર 2023માં બંને મુક્ત થયા અને પરિવારજનો સાથે રહેવા લાગ્યા હતા.

અતિકના પરિવારમાં હવે કયા કયા સભ્યો બચ્યા?

અતિક અહેમદની પત્ની શાહિસ્તા પરવીન હજુ પણ ઉમેશ પાલ હત્યાકાંડમાં વૉન્ટેડ માનવામાં આવે છે અને લાંબા સમયથી ફરાર છે. અતિકનો મોટો પુત્ર ઉમર અહેમદ લખનઊ જેલમાં છે, જ્યારે અલી અહેમદ નૈની સેન્ટ્રલ જેલમાં બંધ છે. ત્રીજા પુત્ર અસદ અહેમદનું એપ્રિલ 2023માં એન્કાઉન્ટરમાં મોત થઈ ચૂક્યું છે. ચોથા પુત્ર આબાનનું હવે માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. સૌથી નાનો પુત્ર અહઝામ ઓક્ટોબર 2023માં બાળ સંરક્ષણ ગૃહમાંથી મુક્ત થયા પછી પોતાની ફોઈ સાથે રહેતો હોવાનું કહેવાય છે.