Wed Aug 19 2026

Logo

પાટનગરમાં પીએમ મોદી અને એકનાથ શિંદે વચ્ચે થઈ મુલાકાત: શિવસેના સાંસદો સાથે થઈ ચર્ચા, જાણો યોજના

2026-08-07 22:04:39
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી/મુંબઈઃ દેશમાં સૌથી વધુ ચર્ચમાં મહારાષ્ટ્ર રાજ્ય રહે છે, તેમાંય મુંબઈની સાથે મહારાષ્ટ્રના રાજકીય ઉતારચઢાવ વચ્ચે હંમેશ ચર્ચામાં રહેનારા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાટનગરમાં મુલાકાત કરી હતી. આ બેઠક અંગે તો પૂરના સંકટગ્રસ્ત લોકો અંગે ચર્ચા કરી હોવાનું મનાય છે, પરંતુ રાજ્યના રાજકારણમાં પડદા પાછળ તો કંઈક અલગ જ રંધાતું હોય છે એ તો કોઈ કળી શકતું નથી. આજની બેઠકમાં પૂરગ્રસ્તોને મદદ સહિત અન્ય મુદ્દે ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં પૂરના પ્રકોપ અને રાહત-બચાવ કામગીરી અંગે માહિતી મેળવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. સંસદ ભવનમાં યોજાયેલી આ બેઠક દરમિયાન વડા પ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં પૂરથી થયેલા નુકસાન, ચાલી રહેલી રાહત કામગીરી અને પુનર્વસનના પ્રયાસો અંગે શિંદે પાસેથી માહિતી મેળવી હતી.

આ મુલાકાત રાજકીય દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તાજેતરના વિદ્યાર્થી આંદોલનો બાદ વડા પ્રધાન મોદી અને એકનાથ શિંદે વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી. મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો વચ્ચે યોજાયેલી આ બેઠકને આગામી કેન્દ્રીય કેબિનેટ ફેરબદલ, સંભવિત પરિસીમન બિલ અને શિવસેનાના નામ તથા ચૂંટણી ચિહ્ન વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીના સંદર્ભમાં પણ જોવામાં આવી રહી છે.શિવસેના નેતાઓએ જણાવ્યું હતું કે આ બેઠક એકનાથ શિંદેની એનડીએના સહયોગી પક્ષના વડા તરીકેની ભૂમિકાને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી. શિવસેના હાલમાં લોકસભામાં 13 સાંસદો સાથે એનડીએનો મહત્વપૂર્ણ ભાગ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદેના જૂથમાં જોડાયેલા શિવસેનાના કેટલાક સાંસદો સાથે પણ મુલાકાત કરી હતી. નાસ્તાપાણીની બેઠક દરમિયાન વડા પ્રધાને સાંસદો સાથે તેમના મતવિસ્તારોના વિકાસ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મીડિયાના અહેવાલો અનુસાર, વડા પ્રધાન મોદીએ સાંસદોને ખાતરી આપી હતી કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) એક પરિવારની જેમ કાર્ય કરે છે અને તમામ સહયોગી પક્ષોને સંપૂર્ણ સમર્થન આપવામાં આવશે. આ બેઠકમાં શ્રીકાંત શિંદે, નરેશ મ્હસ્કે, નાગેશ પાટીલ અષ્ટીકર, ઓમરાજે નિંબાળકર અને સંજય દીના પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત અગાઉ એકનાથ શિંદેએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બેઠક કરી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના નવનિયુક્ત ઉપસભાપતિ સચિન અહીર અને શિવસેનાના સાંસદો પણ હાજર રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય હિલચાલ વચ્ચે વડાપ્રધાન મોદી, અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચેની મુલાકાતોએ નવી અટકળોને જન્મ આપ્યો છે. વિપક્ષી દળોએ આ બેઠકોને સંભવિત રાજકીય ફેરફારો સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ, અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શિવસેના (યુબીટી)ના વધુ નેતાઓને શિંદે જૂથમાં લાવવાના પ્રયાસો અંતર્ગત ‘ઓપરેશન ટાઈગર 3.0’ની ચર્ચા ચાલી રહી છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

મહારાષ્ટ્રના રાજકારણમાં આગામી દિવસોમાં થનારી ઘટનાઓ પર સૌની નજર ટકેલી છે, કારણ કે કેબિનેટમાં ફેરબદલ, પરિસીમનનો મુદ્દો અને શિવસેનાના ઓપરેશન ટાઈગર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ રાજ્યના રાજકીય ભવિષ્યને સીધી અસર કરી શકે છે.

એનડીએના સહયોગી પક્ષો અને અન્ય રાજકીય પક્ષો સાથે ચર્ચા કરી
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે પીએમ નરેન્દ્ર મોદી સાથે મહારાષ્ટ્રમાં વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ, રાહત કામગીરી અને રાજ્યના વિકાસ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે કેન્દ્ર સરકાર મહિલા અનામત અને પરિસીમન બિલ પસાર કરવા માટે લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી મેળવવાના પ્રયાસો કરી રહી છે. 

સરકાર જરૂરી સંખ્યાબળ માટે એનડીએના સહયોગી પક્ષો અને અન્ય રાજકીય પક્ષો સાથે ચર્ચા કરી રહી છે. આ ચર્ચા બિલ પાસ કરાવવા માટે એક મહત્વપૂર્ણ બેઠક સાબિત થાય તેવું માનવામાં આવી રહ્યું છે અને આ બેઠકને  રાજનીતિની દ્રષ્ટિ એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ દર્શાવાઈ રહી છે.શિવસેના હાલમાં એનડીએનો ભાગ છે અને તેના લોકસભામાં 13 તથા રાજ્યસભામાં બે સાંસદો છે. જૂનમાં શિવસેના (યુબીટી)ના છ સાંસદો શિંદે જૂથમાં જોડાયા બાદ પાર્ટીની લોકસભામાં સંખ્યા વધી છે.

વડા પ્રધાન મોદીએ શિવસેનાના શિંદે જૂથમાં સામેલ થયેલા છ નવા સાંસદો સહિત એનડીએના અન્ય સાંસદો સાથે પણ બેઠક યોજી હતી. આ બેઠકમાં વિકાસ કાર્યો અને મતવિસ્તાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.