23 માળની ઇમારતમાં સીએમઓ અને કેબિનેટ હોલ સાથે ભાડાના ખર્ચમાં વાર્ષિક રૂ. 200 કરોડની થશે બચત
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર રાજ્યના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું કાર્યાલય (CMO) હવે મંત્રાલયમાંથી મુંબઈના નરીમાન પોઈન્ટ સ્થિત ઐતિહાસિક એર ઇન્ડિયા બિલ્ડિંગમાં ખસેડવાની યોજના પર કામકાજ ચાલી રહ્યું છે. રાજ્ય સરકારે તાજેતરમાં રૂ. 1,601 કરોડમાં ખરીદેલી 23 માળની આ પ્રતિષ્ઠિત ઇમારતને આધુનિક સરકારી સંકુલ તરીકે વિકસાવવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. સ્થળાંતર અને નવીનીકરણ યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવા માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજાઈ હતી.
મુખ્યમંત્રી કાર્યાલય ઇમારતના ટોચના માળે કાર્યરત થશે, જ્યારે 22મા માળે આશરે 13,363 ચોરસ ફૂટ વિસ્તારમાં આધુનિક કેબિનેટ હોલ તૈયાર કરવામાં આવશે. હાલમાં મંત્રાલયની બહાર વિવિધ ખાનગી ઇમારતોમાં ભાડે ચાલતા સરકારી વિભાગોને પણ તબક્કાવાર આ બિલ્ડિંગમાં ખસેડવાની યોજના છે. સરકારનો દાવો છે કે આ પગલાથી દર વર્ષે આશરે રૂ. 200 કરોડના ભાડાના ખર્ચમાં બચત થશે.
1955માં નિર્માણ પામેલા મંત્રાલયમાં છેલ્લા ઘણા વર્ષોથી જગ્યાની ગંભીર અછત છે. પરિણામે રાજ્ય સરકારને દક્ષિણ મુંબઈની વિવિધ વ્યાવસાયિક ઇમારતોમાં લગભગ નવ લાખ ચોરસ ફૂટ ઓફિસ જગ્યા ભાડે લેવી પડી રહી છે. નવી યોજના દ્વારા તમામ મહત્વના વિભાગોને એક જ સંકુલમાં લાવી વહીવટને વધુ કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
એર ઇન્ડિયા બિલ્ડિંગનું નિર્માણ વર્ષ 1974માં થયું હતું અને તે મુંબઈના સૌથી જાણીતા વાણિજ્યિક ટાવર્સમાંની એક માનવામાં આવે છે. એર ઇન્ડિયાના ખાનગીકરણ બાદ આ મિલકત એર ઇન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડ (AIAHL) પાસે ગઈ હતી ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકારે આ પ્રતિષ્ઠિત ઇમારત ખરીદી હતી અને હવે તેને રાજ્યના નવા વહીવટી કેન્દ્ર તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે.
જાહેર બાંધકામ વિભાગ (PWD)ના મંત્રી શિવેન્દ્રસિંહ ભોંસલેએ જણાવ્યું કે આ સંપાદન મહારાષ્ટ્રના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. તેમના જણાવ્યા મુજબ, ઇમારતને આધુનિક, ટકાઉ અને નાગરિક-મૈત્રીપૂર્ણ સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે, જેથી સરકારી સેવાઓ વધુ અસરકારક રીતે આપી શકાય.
ભોંસલેએ અધિકારીઓને સરકારી કચેરીઓ ખસેડવામાં આવે તે પહેલાં ઇમારતનું વ્યાપક સ્ટ્રક્ચરલ ઓડિટ કરવા તેમ જ તમામ જરૂરી સમારકામ પૂર્ણ કરવાની સૂચના આપી છે. ઉપરાંત ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, ટેક્નિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓ ઉચ્ચ ગુણવત્તાના ધોરણો મુજબ તૈયાર કરવામાં આવશે.
તેમણે ઇમારતના મુખ્ય પ્રવેશદ્વારને મહારાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે તે રીતે રીડિઝાઇન કરવાની પણ ભલામણ કરી છે અને આ માટે અગ્રણી આર્કિટેક્ટ્સ તથા નિષ્ણાત એજન્સીઓને જોડવાની સૂચના આપી છે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નરીમાન પોઈન્ટ સ્થિત એર ઇન્ડિયા બિલ્ડિંગ માત્ર મુંબઈનું ઐતિહાસિક સીમાચિહ્ન જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર સરકારના નવા વહીવટી કેન્દ્ર તરીકે પણ ઓળખાશે. સરકારને આશા છે કે આ પગલાથી વહીવટી કાર્યક્ષમતા વધશે, વિવિધ વિભાગો વચ્ચે સંકલન સરળ બનશે અને જાહેર નાણાંની નોંધપાત્ર બચત પણ થશે.