Wed Aug 26 2026

Logo

ઇબોલાનો કહેર… WHOએ જાહેર કરી ગ્લોબલ ઇમરજન્સી, ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી

2026-05-24 11:30:00
Author: Mumbai Samachar Team
ઇબોલાનો કહેર… WHOએ જાહેર કરી ગ્લોબલ ઇમરજન્સી, ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી

નવી દિલ્હીઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) અને યુગાન્ડામાં ઇબોલા વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ અહીં પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન (PHEIC) જાહેર કરી છે. કોંગો અને યુગાન્ડામાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. આ દરમિયાન ભારતે પણ એલર્ટ જાહેર કર્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રવિવારે (24 મે) ભારતીય નાગરિકોને ઇબોલા પ્રભાવિત દેશો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિન-જરૂરી મુસાફરી ટાળવાની એડવાઇઝરી જાહેર કરી છે.

યાત્રા સંબંધી દિશા-નિર્દેશ જાહેર

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિનિયમ (IHR) 2005 હેઠળ 17મે 2026ના રોજ WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ આ સ્થિતિને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી (ઇમરજન્સી) ગણી છે.

આફ્રિકા CDCએ પણ વ્યક્ત કરી ચિંતા

આફ્રિકા સેન્ટર ફોર ડિજીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (Africa CDC) એ પણ કોંગો અને યુગાન્ડામાં ફેલાઈ રહેલા બુંદીબુગ્યો સ્ટ્રેન (Bundibugyo strain) ના ઇબોલા સંક્રમણને પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ કોન્ટિનેન્ટલ સિક્યોરિટી જાહેર કર્યું છે.

અત્યાર સુધી 176 શંકાસ્પદ મોત

WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) ના આંકડા મુજબ, 21 મે સુધીમાં કોંગોમાં 746 શંકાસ્પદ કેસો અને 176 શંકાસ્પદ મોત નોંધાયા છે. જ્યારે બંને દેશોમાં અત્યાર સુધીમાં 85 કેસોની પુષ્ટિ (કન્ફર્મ) થઈ ચૂકી છે, જેમાં યુગાન્ડાના બે કેસ પણ સામેલ છે. આ કેસોમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે.

શું છે ઇબોલા વાયરસ?

ઇબોલા એ એક ગંભીર વાયરલ હેમરેજિક ફીવર (તાવ) છે, જે બુંદીબુગ્યો વાયરસ સ્ટ્રેનથી ફેલાય છે. આ બીમારી અત્યંત ઘાતક માનવામાં આવે છે અને તેનો મૃત્યુદર ઘણો વધારે હોય છે. હાલમાં આ સ્ટ્રેન માટે કોઈ માન્ય (સ્વીકૃત) રસી કે ખાસ સારવાર ઉપલબ્ધ નથી.

પરિસ્થિતિ પર સરકારની નજર

જોકે, ભારતમાં અત્યાર સુધી આ સ્ટ્રેનનો કોઈ કેસ સામે આવ્યો નથી. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.