Mon Aug 17 2026

Logo

ગુજરાતમાં સવા વર્ષમાં પોલીસે 19 આરોપીને ગોળીએ દીધા, મોટા ભાગના બળાત્કારના આરોપી, ક્યું શહેર ટોપ પર ?

2026-08-11 11:18:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદ: ત્રણ દિવસ પહેલા અમદાવાદના આનંદનગરમાં એક સોસાયટીના ફ્લેટમાં PGમાં રહેતી યુવતી પર સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ બાદ પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. પંચનામા દરમિયાન પોલીસની રિવોલ્વર છિનવી ભાગવા જતાં રેપિસ્ટના પગમાં પોલીસે ગોળી મારી હતી. જે બાદ તેણે હૉસ્પિટલમાં કાન પકડીને માફી માગી હતી. ગુજરાતમાં સવા વર્ષમાં પોલીસે 19 ઓરોપીઓને ગોળીએ દીધા છે. જેમાં મોટા ભાગના બળાત્કારીઓ છે. આ અમદાવાદ શહેર ટોપ પર છે.

મળતી વિગત પ્રમાણે, મે 2025થી અત્યાર સુધીમાં રાજ્યમાં પોલીસ ગોળીબારની 19 ઘટનાઓ નોંધાઈ છે, જેમાં પાંચ કિસ્સાઓ સાથે અમદાવાદ આ યાદીમાં સૌથી આગળ છે. આ ગુનાઓમાં હત્યા, દુષ્કર્મ, જબરદસ્તીથી પૈસા પડાવવા, દારૂના ગુના, હથિયારોની રિકવરી અને હિસ્ટ્રી-શીટર્સ સાથે સંકળાયેલા કેસોનો સમાવેશ થાય છે.

જેમના પર ગોળીબાર કરવામાં આવ્યો છે તેમાં દુષ્કર્મના ગુનાઓ સંબંધિત પાંચ કિસ્સાઓ છે, જે સૌથી વધારે છે. જ્યારે હત્યાના કેસો બીજા ક્રમે છે. કેટલાક કિસ્સાઓમાં  આરોપીઓએ પોલીસ અધિકારીઓ પર છરી, પથ્થર કે છુપાવેલા હથિયારો વડે હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અન્ય કિસ્સાઓમાં, સર્વિસ રિવોલ્વર આંચકી લેવાના અથવા કસ્ટડીમાંથી ભાગી જવાના કથિત પ્રયાસો બાદ ગોળીબાર થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાઓમાં અલગ-અલગ યુનિટ સંકળાયેલા છે, જોકે મોટાભાગના કિસ્સાઓ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોના છે.

અરવલ્લીમાં માર્ચ મહિનામાં થયેલા ગોળીબારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ સામેલ હતી, જ્યારે સુરત, રાજકોટ, ગાંધીનગર, નવસારી અને દાહોદની પોલીસ ટીમોએ પણ છેલ્લા ૧૫ મહિનામાં અલગ-અલગ કેસોમાં ગોળીબાર કર્યો હતો.

અમદાવાદના કિસ્સાઓએ ખાસ ધ્યાન ખેંચ્યું છે, જેમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરતી વખતે, ધરપકડની કામગીરી દરમિયાન અને ક્રાઇમ-સીન રિકન્સ્ટ્રક્શન  વખતે થયેલા ફાયરિંગનો સમાવેશ થાય છે. 2 જુલાઈના રોજ ચંડોળા તળાવ નજીક નામચીન ગુનેગાર કલીમ પઠાણે કથિત રીતે હુમલો કરતાં ક્રાઇમ બ્રાન્ચના JCP શરદ સિંઘલે તેના પર ગોળીબાર કર્યો હતો.

કેસના દસ્તાવેજોનો અભ્યાસ દર્શાવે છે કે દરેક ઘટનાઓમાં પોલીસ દ્વારા આપવામાં આવેલું સ્પષ્ટીકરણ એકસરખું જ રહ્યું હતું. પોલીસનું કહેવું છે કે જ્યારે આરોપીઓએ અધિકારીઓ પર હુમલો કર્યો, તેમના હથિયારો છીનવી લેવાનો પ્રયાસ કર્યો અથવા ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે ગોળીબાર કરવો જરૂરી બન્યો હતો.

વર્ષ 2025ની ઘટનાઓ

  • 17 ઓગસ્ટ (વલસાડ): આરોપી અશફાક શેખની ધરપકડના પ્રયાસ દરમિયાન તેણે કથિત રીતે પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો, ત્યારબાદ તેને ગોળી મારવામાં આવી હતી.
  • 12 સપ્ટેમ્બર (અમદાવાદ): ખંડણીના આરોપી સંગ્રામસિંહ સિકરવારને ગોળી મારવામાં આવી હતી, કારણ કે તેણે કથિત રીતે પોલીસની રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો.
  • 24 સપ્ટેમ્બર (ગાંધીનગર): બળાત્કાર અને હત્યાના આરોપી વિપુલ પરમારને ગોળી મારીને ઠાર કરવામાં આવ્યો હતો; તેણે કથિત રીતે પોલીસકર્મીની સર્વિસ રિવોલ્વર ઝૂંટવી લીધી હતી અને ગોળીબાર કર્યો હતો.
  • 6 નવેમ્બર (નવસારી): 15 કેસોમાં વોન્ટેડ સલમાન મિર્ઝા નામના ગુનેગારને ધરપકડથી બચવાનો પ્રયાસ કરતી વખતે પોલીસ પર કથિત હુમલો કર્યા બાદ ગોળી મારવામાં આવી હતી.
  • 8 ડિસેમ્બર (અમદાવાદ): મોઈનુદ્દીન બાદશાહને કોર્ટમાં રજૂ કરતી વખતે તેની સાથે થયેલી ઝપાઝપી દરમિયાન પોલીસે ગોળીબાર કર્યો હતો.
  • 10 ડિસેમ્બર (રાજકોટ ગ્રામ્ય): રામસિંહ સાકડિયા નામના આરોપીએ પોલીસ પર ધારદાર હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યા બાદ તેને ગોળી મારવામાં આવી હતી.
  • 16 ડિસેમ્બર (સુરત): ડબલ મર્ડર કેસના આરોપી શિવકાંત યાદવને ગોળી મારવામાં આવી હતી; તેણે ભાગવાનો પ્રયાસ કરતી વખતે કથિત રીતે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
  • 20 ડિસેમ્બર (ગાંધીનગર): બળાત્કારના આરોપી રામનીત યાદવને રિકન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતા ગોળી મારવામાં આવી હતી.
  • 30 ડિસેમ્બર (દાહોદ): દારૂના કેસના આરોપી અશોક પંચાલની ધરપકડથી બચવાના પ્રયાસ દરમિયાન પોલીસ પર કથિત હુમલો કર્યા બાદ તેને ગોળી મારવામાં આવી હતી.
  • 30 ડિસેમ્બર (સુરેન્દ્રનગર): પંચનામા દરમિયાન પોલીસ પર કથિત રીતે છરી વડે હુમલો કર્યા બાદ દિવ્યરાજસિંહ બોરાણાને ગોળી વાગી હતી.

વર્ષ 2026ની ઘટનાઓ

  • 13 માર્ચ (અરવલ્લી): રાજસ્થાનથી લાવતી વખતે પોલીસ પર કથિત હુમલો કરનાર સુભલાલ જાટ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગોળીબાર કર્યો હતો.
  • 8 મે (સુરત ગ્રામ્ય): હથિયાર જપ્તીની કામગીરી દરમિયાન છુપાવેલી પિસ્તોલ વડે પોલીસકર્મીઓ પર કથિત હુમલો કરનાર શુભમ ઠાકુર પર પોલીસે ગોળીબાર કર્યો હતો.
  • 11 મે (સુરત શહેર): ધરપકડથી બચવાનો પ્રયાસ કરતી વખતે પોલીસ પર કથિત હુમલો કરનાર હત્યાના આરોપી રાહુલકુમાર જોગીને ગોળી મારવામાં આવી હતી.
  • 25 જૂન (અમદાવાદ): ક્રાઇમ બ્રાન્ચે ભાગવાનો પ્રયાસ કરતી વખતે પોલીસ પર હુમલો કરનાર હત્યાના આરોપી ધમા બારડ પર ગોળીબાર કર્યો હતો.
  • 20 જુલાઈ (આણંદ): બળાત્કાર અને હત્યાના આરોપી સુરેશ પરમારે કથિત રીતે પોલીસ પર છરી વડે હુમલો કર્યા બાદ ગોળીબારમાં તેનું મોત નીપજ્યું હતું.
  • 9 ઓગસ્ટ (અમદાવાદ):  દુષ્કર્મના આરોપી સિક્યુરિટી ગાર્ડે પંચનામા દરમિયાન પોલીસની રિવોલ્વર છિનવી ભાગવા જતાં પગમાં પોલીસે ગોળી મારી હતી.