Fri Jul 24 2026

Logo

ઉમરગામમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી, તાત્કાલિક સહાય ચૂકવવા સૂચના

2026-07-24 19:09:07
Author: Chandrakant Kanoja
Article Image

(મુંબઈ સમાચાર ટીમ) 

ઉમરગામ : વલસાડ જિલ્લાના ઈતિહાસમાં ચોમાસા દરમિયાન માત્ર એક દિવસમાં સૌથી વધુ 42.56  ઈંચ ધોધમાર વરસાદ પડતા ઉમરગામ તાલુકામાં અનેક ગામોમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. જેને પગલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી  શુક્રવારે ઉમરગામ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. 

વહીવટી તંત્રને ઝડપથી સર્વે પૂર્ણ કરવા નિર્દેશ 

નાયબ મુખ્યમંત્રીએ ઉમરગામના વિવિધ વિસ્તારોની મુલાકાત દરમિયાન વરસાદથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરી વહીવટી તંત્રને ઝડપથી સર્વે પૂર્ણ કરી અસરગ્રસ્તોને સમયસર સહાય પહોંચાડવા સૂચનાઓ આપી હતી.

અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક લોકોને મળ્યા 

તેમણે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર અને પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલ પાસેથી તાલુકાની સમગ્ર સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. આ સાથે ભીલાડ, સાતનાળા અને ધોડીપાડા સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક લોકો સાથે લાગણીસભર વાતચીત કરી પૂરની ભયાનકતાનો તાગ મેળવ્યો હતો. 

સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું

તેમણે અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે સરકાર તરફથી સહાય મળી રહે તે માટે ઉપસ્થિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ સાથે જ ખેડૂતો, પશુપાલકો તથા વરસાદથી અસર પામેલા તમામ પરિવારોને સરકારની યોજનાઓ હેઠળ યોગ્ય અને સમયસર સહાય મળે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. 

આગેવાનો અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત 

નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત આગેવાનો અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.