Thu Jul 23 2026

Logo

ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર: મધ્ય ગુજરાતની ઔદ્યોગિક કાયાપલટનું નવું ચાલકબળ, માત્ર 7 કલાકમાં જ દૂધના ટેન્કર પહોંચે છે દિલ્હી

2026-06-22 12:58:00
Author: Mumbai Samachar Team
Article Image

ગાંધીનગરઃ ૨૯ અને ૩૦ જૂનના રોજ વડોદરા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે આ સમિટના પૂર્વાર્ધમાં વડોદરાના વરણામા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના કારણે આવેલી પરિવહન ક્રાંતિ પર વિશેષ વાત કરવી છે. કારણ કે, ભારતીય રેલવેના પરંપરાગત સાર્વજનિક ટ્રેક નેટવર્ક પર મુસાફરો અને માલસામાન બંનેનું ભારે દબાણ હોવાના કારણે માલપરિવહનની ગતિ વર્ષોથી ધીમી રહેતી હતી. વડોદરા જિલ્લાના વરણામા ખાતે સ્થાપિત ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર આ જટિલ સમસ્યાનું કાયમી અને ટકાઉ નિવારણ લાવવા માટે કટિબદ્ધ બન્યો છે.

વડોદરા જિલ્લાના ૩૦ ગામોમાંથી પસાર થતો આ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર મધ્ય ગુજરાતના વેપાર-ઉદ્યોગ માટે 'ગેમ ચેન્જર' સાબિત થવાની સાથે દેશના માલપરિવહન ક્ષેત્રે એક અભૂતપૂર્વ અને ક્રાંતિકારી સીમાચિહ્ન સાબિત થઈ રહ્યો છે. હાલમાં વડોદરા-મુંબઈ રૂટ પર દર ૨૪ કલાકમાં અંદાજે ૫૦ થી ૭૦ ગુડ્ઝ ટ્રેનો દોડી રહી છે, પરંતુ આગામી બે થી ત્રણ મહિનામાં તમામ માલગાડીઓને આ સ્પેશિયલ ટ્રેક પર ડાયવર્ટ કરવાનું સુનિયોજિત આયોજન છે. આ આયોજન હેઠળ આગામી સમયમાં આ રૂટ પરના સમર્પિત ટ્રેક પર માલગાડીઓની સંખ્યા વધીને ૧૧૦ થી ૧૪૦ સુધી પહોંચશે, જેનાથી રેલવેની વહન ક્ષમતામાં બમણો વધારો થશે. વળી, આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ જૂના પરંપરાગત ટ્રેક પર માલગાડીઓનું ભારણ શૂન્ય થઈ જશે, જેના સીધા પરિણામે પેસેન્જર ટ્રેનોની સંખ્યામાં વધારો કરી શકાશે અને તેમની ઝડપ પણ વધારી શકાશે.

વરણામા ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના ઉચ્ચ અધિકારીઓએ આપેલી માહિતીના આધારે સ્પષ્ટપણે કહી શકાય કે, જે જૂના ટ્રેક પર ગુડ્ઝ ટ્રેનની સરેરાશ ઝડપ માત્ર ૨૫-૨૬ કિમી/કલાક રહેતી હતી, તે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના કારણે હવે ૭૦ કિમી/કલાક સુધી પહોંચી ગઈ છે. ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ડી.એફ.સી.સી.આઈ.એલ.) દ્વારા આ ઝડપને ૧૦૦ કિમી/કલાક સુધી લઈ જવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. 

કદાચ કોઈને આ વાત સામાન્ય લાગતી હોય તો આટલા અતિ મહત્વપૂર્ણ સુધારા અને ક્રાંતિને એક ઉદાહરણથી સમજીએ અને આ ગતિનો પ્રત્યક્ષ લાભ પણ આંકડાના આધારે નોંધીએ. માલગાડી સમર્પિત ટ્રેક અને ટ્રક ઓન ટ્રેન સેવાના કારણે મહેસાણાની દૂધ સાગર ડેરીથી દિલ્હી સુધીના પરિવહન સમયમાં અંદાજે ૬૦ ટકાનો ઘટાડો થયો છે. અગાઉ દૂધના ટેન્કરોને દિલ્હી પહોંચતા ૧૭ કલાકનો સમય લાગતો હતો, જે હવે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના કારણે માત્ર ૭ કલાકમાં પહોંચી રહ્યા છે. આ ગતિશીલતાને કારણે ઈંધણની બચતની સાથે માલપરિવહન ખર્ચમાં પણ ઘટાડો નોંધાયો છે, જે સીધી રીતે ચીજવસ્તુઓના ભાવ ઘટાડામાં પણ સહાયક બને છે. 

પશ્ચિમ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર હેઠળ વડોદરાથી મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ સુધી માલગાડીઓને પણ પેસેન્જર ટ્રેનોની જેમ ટાઈમ ટેબલ મુજબ ચલાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ટ્રાફિકના સચોટ સંચાલન અને મોનિટરિંગ માટે અહીં ટ્રેન મેનેજમેન્ટ સિસ્ટમ જેવી અત્યાધુનિક ટેકનોલોજી કાર્યરત છે. તદુપરાંત, વધતા જતા વ્યાપારી ટ્રાફિકને પહોંચી વળવા માટે વડોદરા ખાતે ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ સ્થાપવાનું પણ આયોજન છે.

ભારતના સર્વાંગી આર્થિક વિકાસના આધારસ્તંભ સમાન ગોલ્ડન ક્વાડ્રિલેટરલ એટલે કે સુવર્ણ ચતુર્ભુજ નેટવર્ક અંગેની વિગતો પર નજર કરીએ તો,  દેશના કુલ ટ્રેક કિલોમીટરના માત્ર ૧૬ ટકા જેટલો મર્યાદિત હિસ્સો ધરાવતો આ રૂટ દેશના કુલ ગુડ્સ ટ્રાફિકના આશરે ૫૮ ટકા જેટલો પ્રચંડ ભાર વહન કરે છે. અતિશય ભારણને કારણે આ રૂટ પોતાની મૂળ ક્ષમતા કરતા ૧૫૦ ટકા વધુ સંતૃપ્તિના ગંભીર તબક્કા પર ચાલી રહ્યો હતો. વરણામા ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર આ સંતૃપ્તિને હળવી કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. 

આર્થિક અને વ્યાપારિક દૃષ્ટિએ મૂલ્યાંકન કરીએ તો, હવાઈ પરિવહનનો સરેરાશ ખર્ચ પ્રતિ ટન-કિલોમીટર ૪૦ રૂપિયાથી વધુ અને રોડ ટ્રાન્સપોર્ટનો ખર્ચ ૨૫ થી ૩૦ રૂપિયા થાય છે, જેની સામે આ ડેડિકેટેડ રેલવે પરિવહનનો ખર્ચ માત્ર ૧૦ રૂપિયાથી પણ ઓછો આવે છે. આના કારણે બજારમાં મળતી જીવનજરૂરી વસ્તુઓની આખરી કિંમતમાં પ્રતિ ટન ૬ થી ૧૦ રૂપિયા સુધીનો મોટો ફાયદો સામાન્ય જનતાને સાંપડશે. જ્યારે આ પ્રોજેક્ટ દેશભરમાં પૂર્ણ ક્ષમતાથી કાર્યરત થશે ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર દોડતા ભારે ટ્રકોના ટ્રાફિકમાં આશરે ૪૦ ટકાનો સીધો ઘટાડો નોંધાશે, કારણ કે એક માલગાડી એકસાથે ૪૦૦ જેટલા ટ્રકોનું વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે.

ડી.એફ.સી. પ્રોજેક્ટ માત્ર આર્થિક જ નહીં પણ પર્યાવરણીય દ્રષ્ટિએ પણ હિતકારી છે, કારણ કે માલસામાનનું માર્ગ પરિવહન રેલવેમાં શિફ્ટ થવાથી કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે. મુંબઈ ઉપરાંત મુન્દ્રા, પીપાવાવ અને કંડલા પોર્ટ સાથેની કનેક્ટિવિટીને કારણે ગુજરાતના નિકાસકારો માટે આ કોરિડોર આશીર્વાદરૂપ બન્યો છે.

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના માધ્યમથી જ્યારે નવા રોકાણો આકર્ષવામાં આવી રહ્યા છે, ત્યારે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર જેવી સજ્જ માળખાગત સુવિધાઓ ગુજરાતને વૈશ્વિક વ્યાપાર નકશા પર અગ્રેસર રાખવામાં પાયાની ભૂમિકા ભજવી રહ્યું છે.