Tue Aug 25 2026

Logo

દક્ષિણ મુંબઈમાં આવતી કાલે પાણીપુરવઠો બંધ રહેશે

2026-05-07 21:21:34
Author: Sapna Desai
દક્ષિણ મુંબઈમાં આવતી કાલે પાણીપુરવઠો બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વરલીના ડૉ. ઈ. મોઝેસ રોડ પર બુધવારે  ૧,૬૫૦ મિલ્યન લિટર વ્યાસની મેઈન પાઈપલાઈનમાં પડેલા  ભંગાણ બાદ  યુદ્ધના ધોરણે સમારકામ ચાલી રહ્યું હોઈ  શુક્રવારે દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે. તો અમુક વિસ્તારોમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો મળશે.પાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ ડૉ. ઈ. મોઝેસ રોડ પર ફેમસ સ્ટુડિયો સામે આવેલી પાઈપલાઈનમાં બુધવારે મોટું ભંગાણ પડીને ગળતર થતા લાખો લિટર પાણી વેડફાઈ ગયું હતું.  

બુધવાર રાતથી યુદ્ધના ધોરણ પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં  આવ્યું હતું. ગુરુવારે પણ આખો દિવસ સમારકામ ચાલ્યું હતું, તેેને પરિણામે દક્ષિણ મુંબઈના ડી, ઈ અને જી-દક્ષિણ વોર્ડના અમુક વિસ્તારોમાં શુક્રવાર, ૮ મેના રોજ પૂર્ણપણે બંધ રાખવામાં આવવાનો છે. તો અમુક વિસ્તારમાં  ઓછા દબાણ સાથે પાણીપુરવઠો કરવામાં આવશે. તેથી નાગરિકોને પાણી સંભાળીને વાપરવાની સલાહ આપવામાં આવી છે.

આ વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે
ડી-વોર્ડમાં લૅમિંગ્ટન રોડ, એમ.એસ. અલી રોડ, જે. બોમન બેહરામ માર્ગ, આર.એસ. નિમકર માર્ગ, શુકલાજી સ્ટ્રીટ, ગ્રાન્ટ રોડ(પૂર્વ), બાલારામ સ્ટ્રીટ, ડૉ.ડી.બી. માર્ગ, પઠ્ઠે બાપૂરાવ માર્ગ, ફોકલેન્ડ રોડ પશ્ર્ચિમ, મુંબઈ સેન્ટ્રલ વિસ્તાર, એમ.પી. મિલ્સ કમ્પાઉન્ડ, બી.બી. નકાશે રોડ, તાડદેવ, આંબેડકર નગર કોલોની, કેશવરાવ ખાડયે રોડ વિસ્તારમાં શુક્રવારે પાણીપુરવઠો બંધ રહેશે. તો ઠાકુરદ્રાર, એમ.કે. રોડ, આર. આર. રોડ, જે. એસ. એસ. રોડ, ખાડિલકર રોડ, ગિરગાવ રોડ, હ્યુજેસ રોડ, બાબુલનાથ રોડ, ચોપાટી રોડ,  વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.
ઈ-વોર્ડમાં શુક્રવારે એમ.એસ. અલી માર્ગ, બેલાસીસ રોડ, કમાઠીપુરા, શંકરરાવ પુલ રોડ, શુકલાજી સ્ટ્રીટ, માનાજી રાજુજી માર્ગ, મૉરલેન્ડ માર્ગ, અગ્રીપાડા, સાત રસ્તા જંકશન, બી.જે. માર્ગ, સામે ગુરુજી રોડ, એમ.એ. માર્ગ, ડૉ. આનંદરાવ માર્ગ, નાયર હૉસ્પિટલ, કસ્તુરબા હૉસ્પિટલ, જગજીવનરામ હૉસ્પિટલ, વોકહાર્ડ હોસ્પિટલ વિસ્તારમાં પાણી સંપૂર્ણપણે બંધ રહેશે.
જી-વોર્ડમાં સાત રસ્તા, જે.આર. બોરીચા માર્ગ, સાને ગુરુજી માર્ગ, કેશવરાવ ખાડયે માર્ગ, ધોહીધાટ, જી.બી. સપકાળ માર્ગ, ડૉ.ઈ. મોઝેસ રોડ પર અમુક વિસ્તારમાં શુક્રવારે પાણીપુરવઠો બંધ રહેશે.