દહેરાદૂન : ઉત્તર પ્રદેશ બાદ ઉત્તરાખંડમાં રસ્તા પર નમાઝ પઢવા મુદ્દે કડક વલણ અપનાવામાં આવ્યું છે. આ અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ ચારધામ યાત્રા ચાલી રહી છે. તેથી રસ્તા પર નમાઝ પઢવાની મંજુરી આપવામાં આવશે નહી.
વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી
આ અંગે મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ ટિપ્પણી કરી હતી કે જાહેર રસ્તાઓ પર નમાઝ પઢવાની પરવાનગી આપવી જોઈએ. અમે કહ્યું હતું કે નમાઝ ફક્ત નિયુક્ત સ્થળોએ જ અદા કરવી જોઈએ. આ વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી.
ચારધામ યાત્રાળુઓને યોગ્ય સુવિધા પૂરી પડાશે
આ ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલમાં ચારધામ યાત્રા ચાલી રહી છે. તેથી હાલ રસ્તાઓને ધાર્મિક પ્રદર્શનોનું માધ્યમ બનવા દેવામાં આવશે નહીં. અમે સંકલ્પ કર્યો છે કે રાજ્યની મુલાકાત લેતા સનાતનીઓ અને ચારધામ યાત્રાળુઓને કોઈ અસુવિધાનો સામનો કરવો ન પડે.
વોટ-બેંકના રાજકારણથી ઉપર ઉઠવું જોઈએ
તેમજ કેટલાક લોકો દરેક વસ્તુને ફક્ત વોટ બેંકના રાજકારણની રીતે જુવે છેઆ બધી બાબતોમાં, આપણે વોટ-બેંકના રાજકારણથી ઉપર ઉઠવું જોઈએ. અમે કોઈને પણ 'દેવભૂમિ'ની શાંતિ, સંસ્કૃતિ અને શિસ્ત સાથે ચેડા કરવાની મંજૂરી નહિ આપીએ.
ચારધામ યાત્રા દરમિયાન યાત્રાળુઓની સંખ્યામાં સતત વધારો
ઉલ્લેખનીય છે કે, હાલમાં ચારધામ યાત્રા દરમિયાન, યાત્રાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં સોનપ્રયાગ, ગૌરીકુંડ અને અન્ય મુખ્ય સ્થળોએ ભીડ અચાનક વધી છે. રાજ્ય સરકારે યાત્રા પહેલા વિગતવાર સલાહ અને એસઓપી જાહેર કરી છે. જોકે, યાત્રાળુઓ નિર્ધારિત માર્ગોને બદલે વૈકલ્પિક માર્ગો દ્વારા મુસાફરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના લીધે અમુક વિસ્તારોમાં ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.