Sun Aug 23 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ‘ઉદ્યોગ’ની વ્યાખ્યાના કેસમાં 24 વર્ષનો અક્ષમ્ય વિલંબ

2026-03-18 08:35:13
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

ઈરાન વર્સીસ ઈઝરાયલ-અમેરિકાના યુદ્ધની મોંકાણમાં એક બહુ મોટી ઘટના પર લોકોની નજર નથી ગઈ. આ ઘટના સુપ્રીમ કોર્ટની નવ જજોની બંધારણીય બેન્ચ દ્વારા ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, 1947 હેઠળ કામકાજ તથા આર્થિક પ્રવૃત્તિઓના સંદર્ભમાં ’ઉદ્યોગ’ને વ્યાખ્યાયિત કરવા માટે શરૂ કરાયેલી સુનાવણી છે. ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતના વડપણ હેઠળની બેંચ આ સુનાવણીમાં ઘણા બધા મુદ્દાને આવરી લેવાની છે પણ તેમાં બે મુદ્દા મુખ્ય છે. પહેલો મુદ્દો એ કે, તમામ પ્રકારની સંગઠિત પ્રવૃત્તિને ઉદ્યોગ ગણવી જોઈએ ? અને બીજો મુદ્દો એ છે કે, સરકારના વિભાગો પણ ઉદ્યોગ ગણાય કે નહીં  ?

અત્યારે  ‘ઉદ્યોગ’ની જે વ્યાખ્યા છે એ 1978માં સુપ્રીમ કોર્ટે ‘બેંગલૂરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ’ કેસમાં આપેલા ચુકાદા પર આધારિત છે. જસ્ટિસ અય્યરે આ ચુકાદામાં ઉદ્યોગની વિસ્તૃત વ્યાખ્યા કરી હતી. આ ચુકાદામાં સ્પષ્ટતા કરાયેલી કે,  નોકરીદાતા અને કર્મચારીનો સંબંધ છે અને જ્યાં કોઈ પણ પ્રકારની સેવા કે કામગીરી થાય છે તેને ઉદ્યોગ કહેવાય. 

આ ચુકાદા પહેલાં સુધી ઉત્પાદન કરાતું હોય એવાં તમામ સ્થળોને જ ઉદ્યોગ ગણવામાં આવતા હતા. મતલબ કે, ફેક્ટરીઓને જ ઉદ્યોગ ગણવામાં આવતા હતા પણ નવી આ વ્યાખ્યાને કારણે સરકારી વિભાગો, હૉસ્પિટલો, શાળાઓ, બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ) પણ ઉદ્યોગ ગણાવા લાગી. ઉદ્યોગોને લાગુ પડતા મજૂર કાયદા તમામને લાગુ પડવા માંડ્યા.

હવે સુપ્રીમ કોર્ટ આ વ્યાખ્યા સાચી છે કે નહીં તેનો નિર્ણય લેશે. તેના કારણે કરોડો કર્મચારીઓના અધિકારો અંગે સ્પષ્ટતા થશે. કર્મચારીઓના છટણી, પગાર, યુનિયન સહિતના અધિકારોને પણ નવી વ્યાખ્યાથી અસર થશે તેથી આ સુનાવણી કરોડો લોકોને અસર કરનારી છે. અત્યારે આર્મી, પોલીસ વગેરેને ઉદ્યોગ ગણવામાં નથી આવતા તેથી તેમને પોતાના અધિકારો માટે લડવા યુનિયન બનાવવાની છૂટ નથી પણ નવી વ્યાખ્યામાં તેમને ઉદ્યોગ ગણી લેવાય તો પછી આર્મી અને પોલીસનાં યુનિયનો બનાવી શકે કે નહીં એ મુદ્દો ચર્ચામાં આવી જશે.  અત્યારે પોલીસ કે આર્મી યુનિયન ન બનાવી શકે એ માટેની અલગ જોગવાઈઓ અસ્તિત્વમાં છે જ પણ નવી વ્યાખ્યાના કારણે વિરોધાભાસ થાય તો ઘર્ષણ વધી શકે.  

સુપ્રીમ કોર્ટે ’ઉદ્યોગ’ની વ્યાખ્યા કરવા સુનાવણી શરૂ કરી એ સારી વાત છે પણ આ સુનાવણી ભારતમાં ન્યાયતંત્ર રગશિયા ગાડા કરતાં પણ ધીમી ગતિએ ચાલે છે તેનો પુરાવો છે. સાથે સાથે સુપ્રીમ કોર્ટનું કામ પણ બિલકુલ સરકારી ધોરણે ચાલે છે ને લોકહિતને ધ્યાનમાં જ નથી રખાતું તેનો પુરાવો પણ છે. એ સિવાય આટલાં વરસો લગી આ કેસ ટલ્લે ચડેલો રહે ખરો? સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વીઆર કૃષ્ણ અય્યરે 1978માં ‘ઉદ્યોગ’ની વ્યાખ્યા કરી તેનાં તેનાં 24 વર્ષ પછી 2002માં આ ચુકાદાને પડકારવામાં આવ્યો હતો અને છેક હવે તેની સુનાવણી શરૂ થઈ રહી છે. મતલબ કે, એક ચુકાદાને પડકારાયો એ કેસની સુનાવણી શરૂૂ કરવામાં જ 24 વર્ષ લાગી ગયાં.

ઉત્તર પ્રદેશની સરકારે આ વ્યાખ્યાને આધારે લીધેલા નિર્ણયને જયબીર સિંહે પડકારેલો તેથી સ્ટેટ ઓફ યુપી વર્સીસ જયબીર સિંહ તરીકે આ કેસ જાણીતો બન્યો. આ કેસમાં મૂળ ચુકાદા પર પુનર્વિચારણા કરવાની માંગ કરવામાં આવી હતી કારણ અરજદારને લાગતું હતું કે, 1978નો ચુકાદો  અત્યંત કામદારલક્ષી છે અને તેમાં કામદારોનાં હિતોની જ વાત છે.

આ વિલંબ અક્ષમ્ય છે અને તે માટેનું કારણ અત્યંત હાસ્યાસ્પદ છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો ચલકચલાણું રમતા રહ્યા તેમાં કેસ અહીંથી ત્યાં ને ત્યાંથી બીજે ક્યાંક ફરતો રહ્યો તેમાં બોર્ડ પર જ ના આવ્યો. પહેલાં આ કેસ પાંચ જજની બંધારણીય બેંચને સોંપાયો હતો પણ સુનાવણી શરૂ થાય એ પહેલાં ચીફ જસ્ટિસ બદલાયા તેથી તેમને લાગ્યું કે, આ મુદ્દો બહુ મહત્ત્વનો છે ને પાંચ જજની બેંચના બદલે મોટી બેંચને સોંપાવી જોઈએ તેથી મે 2005માં પાંચ જજની બંધારણીય બેન્ચે અરજી મોટી બેન્ચને મોકલી આપ્યો. ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુરના વડપણ હેઠળની સાત જજની બેંચે સુનાવણી તો શરૂ કરી જ નહીં પણ જાન્યુઆરી 2017માં નિર્ણય લીધો કે, આ ‘ઉદ્યોગ’ની વ્યાખ્યાની દૂરોગામી અસરો પડશે તેથી નવ જજની બેંચ દ્વારા કેસની સુનાવણી થવી જોઈએ.

ભારતના બંધારણમાં બંધારણીય અર્થઘટનને લગતી બાબતોમાં ઓછામાં ઓછા પાંચ જજની બેંચ હોવી જોઈએ એવો ઉલ્લેખ છે પણ મહત્તમ કેટલા જજની બેંચ રાખી શકાય એ માટેની કોઈ મર્યાદા નક્કી કરાઈ નથી તેનો લાભ લઈને આ કેસ ફંગોળાતો રહ્યો. વર્તમાન ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે આ ચલકચલાણું બંધ કરાવ્યું  બદલ તેમનો આભાર માનવો જોઈએ. ફેબ્રુઆરી 2026માં ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પોતાના વડપણ હેઠળની બંધારણીય બેંચ સમક્ષ સુનાવણી કરવાની જાહેરાત કરી તેના કારણે આ કેસનો મોક્ષ થયો છે. જસ્ટિસ સૂર્યકાન્તની હકારાત્મક પહેલથી જસ્ટિસ સૂર્યકાંત ઉપરાંત બી.વી. નાગરત્ના, પી.એસ. નરસિંહા, દીપાંકર દત્તા, ઉજજલ ભૂયાન, એસ.સી. શર્મા, જોયમલ્યા બાગચી, આલોક આરાધે અને વિપુલ એમ. પંચોલી એમ નવ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ આ કેસની સુનાવણી શરૂ થઈ છે.

આ મુદ્દો અત્યંત મોટો છે એવું સુપ્રીમ કોર્ટે પોતે જ સ્વીકાર્યું છે. એ સિવાય તો નવ જજની બંધારણીય બેંચ શું કરવા સુનાવણી કરે? એ છતાં આટલાં બધાં વરસો સુધી આ વાત પર જ ધ્યાન ના અપાયું તેના કારણે કરોડો લોકોને અસર થઈ છે કેમ કે ‘ઉદ્યોગ’ની વ્યાખ્યા સરકારી નોકરિયાતથી માંડીને સામાન્ય કામદાર સુધીનાં બધાંને લાગુ પડે છે. વરસોથી ચાલી આવતી આ ‘ઉદ્યોગ’ની વ્યાખ્યાના કારણે કોને નુકસાન થયું ને કોને ફાયદો થયો તેની ખબર તો નવી વ્યાખ્યા આવે ત્યારે પડે પણ કરોડોને અસર થઈ તેમાં શંકા નથી. સુપ્રીમ કોર્ટ ‘ઉદ્યોગ’ની નવી વ્યાખ્યા ક્યારે કરશે એ ખબર નથી. ન્યાયતંત્રની કામ કરવાની ઝડપ જોતાં એક-બે વર્ષ બીજાં નિકળી જાય તો પણ નવાઈ નહીં. જેટલો કેસ લંબાશે એટલી અસરકર્તાઓની સંખ્યા પણ વધશે એ જોતાં આશા રાખીએ કે ઝડપથી ચુકાદો આવે.

ને છેલ્લે એક આડવાત પણ કરી લઈએ.
સુપ્રીમ કોર્ટને અચાનક ‘ઉદ્યોગ’ની વ્યાખ્યા કરવાનો ઉમળકો કેમ જાગી ગયો ?
કેન્દ્ર સરકારે ગયા વરસે ચાર નવા લેબર કોડ અમલી બનાવ્યા પણ તેનો અમલ શરૂ થયો નથી કેમ કે રાજ્યોએ અંતિમ નિયમો બનાવ્યા નથી. આ અંતિમ નિયમો બનશે તેની અસર ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓને થશે. ઉદ્યોગો, બિઝનેસ વગેરે પર સૌથી વધારે અસર થશે તેથી તેમને રાહત આપવા ‘ઉદ્યોગ’ની નવી વ્યાખ્યા કરાઈ રહી હોવાનું કહેવાય છે.