Tue Jul 28 2026

Logo

લલિત મોદીની બાયોપિકમાં કોણ પ્લે કરશે લીડ એક્ટરનો રોલ? લંડનમાંથી સામે આવ્યું બિગ સ્ટારનું નામ

2026-06-04 16:31:07
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ફિલ્મ 'ડોન-3'ના વિવાદને લઈને રણવીર સિંહનું નામ ચર્ચામાં છે. હવે તેને નવા પ્રોજેક્ટ મળશે કે કેમ એને લઈને જોરશોરથી ચર્ચા શરૂ થઈ છે. વિવાદના માહોલમાં રણવીર સિંહને લઈને ન્યૂઝ એ મળી રહ્યા છે કે, વિવાદ હોવા છતાં એની ફિલ્મની ગાડી અટકી નથી. ઓગસ્ટ મહિનામાં નવા પ્રોજેક્ટ પર શુટિંગના વાવડ મળ્યા બાદ હવે વધુ એક પ્રોજેક્ટ સાથે એનું નામ જોડાઈ ચૂક્યું છે. IPLના પૂર્વ કમિશનર લલિત મોદીની સુષ્મિતા સેન સાથે રિલેશનશિપને લઈને મસમોટી ચર્ચા થઈ હતી. આ ચર્ચા બાદ હવે તેમણે પોતાના નવા પ્રોજેક્ટ અંગે ખુલાસો કર્યો છે. 

બાયોપિક ફિલ્મ આવશે

લલિત મોદીએ કહ્યું કે, હાલમાં તેઓ પોતાના અંગત જીવનને સ્ક્રિન પર દર્શાવતી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ઓન સ્ક્રિન એનો રોલ કોણ પ્લે કરશે એ હજુ નક્કી નથી પણ મીડિયા રિપોર્ટ અનુસાર રણવીર સિંહનું નામ અહીં જોડાઈ રહ્યું છે. થોડા સમય પહેલા રણવીર સિંહ લંડન આવ્યો હતો અને એમની સાથે મુલાકાત પણ કરી હતી.

આ ફિલ્મમાં લલિત મોદીનું પાત્ર પ્લે કરવા માટે ઘણો રસ દાખવ્યો હતો. તેમણે પોતાની વાત આગળ કરતા ઉમેર્યું હતું કે, હાલમાં મારી બાયોપિકને લઈને પ્રાયમરી કામ ચાલી રહ્યું છે. હાલ તો સ્ક્રિપ્ટ લખાઈ રહી છે. આ પહેલા પણ મેં અનેક એવા ઈન્ટરવ્યૂ આપેલા છે. મારી પાસે સ્નેહા રજનીની આખી ટીમ છે, આ ટીમ જ પહેલા સોની ટીવી ચલાવતી હતી. 

સ્ક્રિપ્ટ પર કામ ચાલું

હાલમાં સ્ટોરીની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. રણવીર સિંહ મારૂ પાત્ર પ્લે કરવા માગે છે.એ મને મળવા માટે પણ આવ્યો હતો. હું પણ એવું ઈચ્છું છું કે, તે મારૂ પાત્ર પ્લે કરે જો એમની પાસે સમય હોય તો. હાલ તે ઘણો મોટો સ્ટાર બની ગયો છે. પહેલા હું રણવીર સિંહને ઓળખતો ન હતો પણ દીપિકાને સારી રીતે ઓળખતો હતો.

હું રણવીરને મળ્યો ન હતો પણ એક દિવસ મને ફોન આવ્યો કે, તે મને મળવા માગે છે.આશરે બે વર્ષ પહેલા એ મને મળવા માટે આવ્યો હતો. હવે મને આઈડિયા નથી કે તે, આ રોલ પ્લે કરશે કે નહીં. હવે એમને આ રોલ પ્લે કરવામાં રસ પડશે કે નહીં. પણ મને એનું કામ ગમ્યું છે. ખાસ કરીને ફિલ્મ 'ધુરંધર'માં એના અભિનય માટે દાદ આપવી પડે. 

એક્ટિંગના વખાણ કર્યા

રણવીર સિંહે કહ્યું હતું કે, આગળની જિંદગીમાં એવું કોઈ પાત્ર છે જેને તે પ્લે કરવા માગે છે તો એ લલિત મોદીનું પાત્ર છે. આ અંગે મેં એમને કંઈ પૂછ્યું ન હતું, તેણે જ સામેથી આ અંગે વાત કરી હતી.એ ખરેખર બેસ્ટ એક્ટર છે. એમાં કોઈ બેમત નથી.  'ધુરંધર' ફિલ્મમાં જે કામ કર્યું છે એ દમદાર છે.

હવે તે આ બાયોપિકમાં પાત્ર પ્લે કરવા માગે કે ન માગે પણ આ જ ઘરમાં બેસીને તેણે આ પાત્ર પ્લે કરવા માટેની વાત કરી હતી. હાલ સ્ક્રિપ્ટ પર વિગતવાર કામ થઈ રહ્યું છે. દરેક પાસાનું અહીંયા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્લોટ નક્કી થયા બાદ આગળનું કામ શરૂ થશે. જોકે આ ફિલ્મને લઈને ખાસ કોઈ વિગત શૅર કરવામાં આવી નથી. 

સુસ્મિતા સેન અંગે રિલેશનશિપને લઈને વાત કરતા કહ્યું કે, હું અને સુસ્મિતા આજે પણ સાર મિત્રો છીએ. સુસ્મિતા એક પૈસાદાર મહિલા છે, આ પૈસો તેણે પોતાના દમ પર કમાઈને અલગ ઓળખ ઊભી કરી છે.તે ખૂબ જ સારી માતા છે બે દીકરીઓને ઉછેરી રહી છે. સુસ્મિતાએ મારી પાસેથી કંઈ લીધુ નથી પણ મારા ઘણાય ખર્ચ ઊઠાવ્યા છે.