ઉર્દૂ શાયરીની દુનિયાના એક અદભુત સૂર્ય, મશહૂર શાયર અને પદ્મશ્રી ડો. બશીર બદ્રએ 91 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના અવસાનથી સાહિત્ય જગતમાં ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. બશીર બદ્ર સાહેબ માત્ર એક શાયર નહોતા, પરંતુ તેઓ ઉર્દૂ ગઝલના એવા જાદુગર હતા જેમણે શાયરીને દરબારો અને અઘરા શબ્દોમાંથી બહાર કાઢીને સામાન્ય માણસના દિલ અને રોજિંદી બોલચાલની ભાષા સુધી પહોંચાડી હતી.
ડો. બશીર બદ્રનો જન્મ 15 ફેબ્રુઆરી, 1935ના રોજ અયોધ્યા, ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો અને લાંબો સમય પ્રોફેસર તરીકે સેવા આપી. સાહિત્યમાં તેમના અજોડ પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને 'પદ્મશ્રી' અને ઉર્દૂ સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વાત કરીએ બશીર બદ્રની સૌથી મોટી ખાસિયત વિશે તો તેમની ખાસિયત એ હતી કે તેઓ મોહબ્બત, જુદાઈ, સામાજિક કડવાશ અને માનવીય સંબંધોને અતિ સરળ અને સ્પર્શી જાય તેવા શબ્દોમાં ઢાળતા હતા. રાજકારણના મંચથી લઈને પ્રેમમાં પડેલા યુવાનોના વોટ્સએપ સ્ટેટસ સુધી, આજે પણ તેમની શાયરીઓ સૌથી વધુ ક્વોટ કરવામાં આવે છે.
બશીર બદ્ર સાહેબના કેટલાક આઇકોનિક શેર, જે હંમેશા અમર રહેશે-
1. કોઈ હાથ ભી ન મિલાયેગા જો ગલે મિલોગે તપાક સે,
યે અજીબ શહર કા મોહબ્બત હૈ જરા ફાસલે સે મિલા કરો...
2. તુમસે મિલકર ખુદ કો ભૂલ જાતે હૈ,
અજીબ જાદુ હૈ તુમ્હારી આંખો મેં...
3. ઉજાલે અપની યાદોં કે હમારે સાથ રહને દો,
ન જાને કિસ ગલી મેં ઝિંદગી કી શામ હો જાયે...
4. લોગ ટૂટ જાતે હૈં એક ઘર બનાને મેં,
તુમ તરહ ભી નહીં ખાતે બસ્તિયાં જલાને મેં...
5. જી બહલતા હૈ કહાં અબ મેરા તેરે બગૈર,
તુમ કહાં હો કિ અબ મુઝે ખુદ કી ખબર નહીં...
6. દુશ્મની જમકર કરો લેકિન યે ગુંજાઈશ રહે,
જબ કભી હમ દોસ્ત હો જાયેં તો શર્મિંદા ન હોં...
બશીર બદ્રજીના જીવનના અંતિમ વર્ષો ભોપાલમાં વીત્યા હતા. વધતી ઉંમર અને અલ્ઝાઈમરના કારણે તેઓ છેલ્લે છેલ્લે પોતાની જ શાયરીઓ ભૂલી ગયા હતા, પરંતુ કરોડો સાહિત્ય રસિકોને તેમના લખેલા શબ્દો મોઢે યાદ છે. બશીર બદ્ર ભલે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ જ્યારે પણ ઉર્દૂ ગઝલ, મોહબ્બત અને અદબની વાત નીકળશે, ત્યારે બદ્ર સાહેબનું નામ આકાશના ધ્રુવ તારાની જેમ ચમકતું રહેશે...