નવી દિલ્હીઃ ભારતીય એરલાઇન્સ કંપનીઓએ DGCA અને MoCA દ્વારા જાહેર કરાયેલા 60 ટકા મફત સીટના નવા નિયમનો વિરોધ શરૂ કર્યો છે. આ નિયમથી એરલાઇન્સના રેવન્યુ પર અસર પડશે અને તેને ટિકિટના કિરામાં વધારો કરવો પડશે, જેનો ખર્ચ સીધો મુસાફરો પર આવશે. તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. સરકાર દ્વારા લોકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો પરંતુ તેનો એરલાઈન્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
શા માટે એરલાઇન્સે વિરોધ શરૂ કર્યો?
18 માર્ચ 2026ના રોજ MoCAએ જાહેર કર્યું કે દરેક ફ્લાઇટની 60 ટકા સીટો મુસાફરોને મફતમાં આપવી પડશે, જેમાં વિન્ડો સીટ કે આગળની સીટ પસંદ કરવાનો ચાર્જ નહીં લઈ શકાય. ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટ જેવી મોટી એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરતી FIA (ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ)એ MoCA સચિવ સમીર સિંહને પત્ર લખીને આ નિયમને રદ્દ કરવાની માંગણી કરી છે. FIAનું કહેવું છે કે, આ નિયમના કારણે મુસાફરો અને પરિવારોને વધુ નુકસાન થશે, કારણ કે ટિકિટના ભાવમાં વધારો થવાની સંભાવનાઓ છે.
સીટ સિલેક્શન ચાર્જ વિના તેમની આવક ઘટશે?
એરલાઇન્સનું કહેવું છે કે, સીટ સિલેક્શન ચાર્જ વિના તેમની આવક ઘટશે, જેનો ખર્ચ ટિકિટના ભાડા વધારીને વસૂલવો પડશે. જેમ કે, અત્યારે 4,000 રૂપિયાની ટિકિટ અને 300 રૂપિયાની સીટ એટલે કે, 4300 રૂપિયા આપવા પડતા હતાં. પરંતુ આ નવા નિયમના કારણે સીટનો ચાર્જના લેવામાં આવે અને ટિકિટનો ભાવ 4,500 રૂપિયા થઈ જાય તો તેમાં ગ્રાહકોનું શું ફાયદો થશે?.
શું DGCA પાસે આવા નિયમ બનાવવાની કાનૂની અધિકાર નથી?
આ નિયમથી એરલાઇન્સની વિશેષ સેવાઓ (જેમ કે વધુ લેગરૂમ કે બેટર ફૂડ)ની વિશિષ્ટતા ખતમ થઈ જશે, જે મુસાફરોને પસંદગીની તક ઘટાડશે. FIAએ DGCA પાસે આવા નિયમ બનાવવાની કાનૂની અધિકાર નથી હોવાનું પણ જણાવ્યું છે. એટલે હવે આ નિયમ પાછો લેવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી રહી છે. એરલાઈન્સનું કહેવું છે, આ નિર્યણ લેતા પહેલા તેમની સાથે કોઈ બેઠક નથી કરવામાં આવી, ના તો કોઈ સલાહ લેવામાં આવી છે, તો પછી DGCA દ્વારા આ નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યો? આવા સવાલો પણ કર્યાં છે.