Wed Aug 19 2026

Logo

ભવિષ્ય નિધિ કે નિવૃત્તિ બચત: ભંડોળમાંય કરોડોના ગોટાળા

2026-08-05 08:10:17
Author: Praful Shah
Article Image

પ્રફુલ શાહ

‘માનનીય અધ્યક્ષ મહોદય, આપણે જે કૌભાંડોનો સામનો કરી રહ્યા છીએ તેમાં હવે વધુ એક બહુ-કરોડનું કૌભાંડ ઉમેરાયું છે. તાજું કૌભાંડ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને ગ્રામ્ય તેમ જ શહેરી સહકારી બેંકોમાં સામાન્ય લોકોની થાપણો સાથે સંબંધિત છે.

મહોદય, હાલમાં 2500 કર્મચારી પ્રોવિડન્ટ ફંડ એવી મુક્ત (Exempted) શ્રેણીમાં છે અને આ 2500 સંસ્થાઓ હેઠળ લગભગ રૂ. 30,000 કરોડની રકમ છે. સરકારી સિક્યોરિટીમાં રોકાણના નામે સીમેન્સ પ્રોવિડન્ટ ફંડની રકમ કેવી રીતે કેટલાક લોકોએ ગેરવહીવટ કરીને ઉચાપત કરી તે હવે બહાર આવ્યું છે. દેશભરના લાખો કર્મચારીઓ અને મજૂરોમાં એ અંગે ભય છે કે તેમની મહેનતની કમાણી કેટલી સુરક્ષિત છે, ખાસ કરીને સરકારી સિક્યોરિટીમાં ભૌતિક સ્વરૂપે થતા વ્યવહારોને ધ્યાનમાં રાખીને.

1992ના કૌભાંડ પછી સંયુક્ત સંસદીય સમિતિ એ ડી-મેટ પદ્ધતિ અપનાવવાની ભલામણ કરી હતી. ઇક્વિટી બજારમાં તે અમલમાં આવી ગઈ હતી, પરંતુ બોન્ડ બજારમાં આજે પણ, ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં, જૂની પદ્ધતિ ચાલુ છે. સરકારે આ ગૃહને સ્પષ્ટીકરણ આપવું જોઈએ. કૌભાંડના તમામ પાસાઓને આવરી લેતું નિવેદન આપવામાં આવે. જરૂર પડે તો આ નવા બહુ-કરોડના કૌભાંડની તપાસ માટે ગૃહને એક સમિતિ રચવાનો અધિકાર છે.’

આ શબ્દો છે સંસદ સભ્ય રૂપચંદ પાલ (હૂગલી બેઠક)ના જે તેમણે સંસદમાં ઉચ્ચાર્યા હતા. 16 મે, 2003ના રોજ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને સહકારી બેંકોમાં લોકોની થાપણો સાથે જોડાયેલા બહુ-કરોડના કૌભાંડ અંગે નિવેદનની માગ કરવામાં આવી હતી. શા માટે કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને સહકારી બેંકોમાં લોકોની થાપણો સાથે જોડાયેલા બહુ-કરોડના કૌભાંડ અંગે નિવેદનની માગ કરવામાં આવી હતી? 

હા, કારણકે આ 2500 સંસ્થાઓ હેઠળ લગભગ રૂ. ત્રીસ હજાર કરોડની રકમ હતી. સરકારી સિક્યોરિટીમાં રોકાણના નામે સીમેન્સ પ્રોવિડન્ટ ફંડની રકમ કેવી રીતે કેટલાક લોકોએ ગેરવહીવટ કરીને ઉચાપત કરી તે બહાર આવ્યું હતું. દેશભરના લાખો કર્મચારીઓ અને મજૂરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો છે કે પોતાની મહેનતની કમાણી કેટલી હદ સુધી સુરક્ષિત છે. ખાસ કરીને સરકારી સિક્યોરિટીમાં ભૌતિક સ્વરૂપે થતા વ્યવહારો વધુ ચિંતાજનક હતા.

ડી-મેટ પદ્ધતિ અપનાવવાની ભલામણ પછી ઇક્વિટી બજારમાં તે અમલમાં આવી ગઈ હતી, પરંતુ બોન્ડ બજારમાં, ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં, જૂની પદ્ધતિ ચાલુ હતી. આ અંગે સરકાર સંસદમાં સ્પષ્ટીકરણ આપે એવી માગણી પણ થઇ હતી. કૌભાંડના તમામ પાસાઓને આવરી લેતું નિવેદન આપવામાં આવે. જરૂર પડે તો આ બહુ-કરોડના કૌભાંડની તપાસ માટે ગૃહને એક સમિતિ રચવાનો સરકારને અધિકાર હોવાનું યાદ પણ કરાવાયું હતું.

એક કૌભાંડ હતું નાવિકોનો પીએફમાં. રૂ. 100 કરોડના પ્રોવિડન્ટ ફંડ કૌભાંડના પગલે નેશનલ યુનિયન ઓફ સીફેરર્સ ઓફ ઇન્ડિયાએ મુંબઇના બેલાર્ડ એસ્ટેટ ખાતે આવેલા સીમેન્સ પ્રોવિડન્ટ ફંડ કમિશનરના કાર્યાલય સામે મોરચો પણ કાઢ્યો હતો. યુનિયનના તત્કાલીન મહાસચિવ અબ્દુલ ગની સરંગે એ સમયના પી.એફ. કમિશનર નરેશ સાલેચા અને ડિરેક્ટર જનરલ ઓફ શિપિંગ ડી. ટી. જોસેફને મળીને નાવિકોના પ્રોવિડન્ટ ફંડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમને લેખિતમાં ખાતરી અપાઇ હતી કે કોઈ પણ નાવિક પોતાનું પ્રોવિડન્ટ ફંડ ગુમાવશે નહીં.

તેમણે એમ પણ જણાવ્યું કે સમુદ્રી સમુદાયનો કોઈપણ વ્યક્તિ પોતાનું પ્રોવિડન્ટ ફંડ દાવો કરી શકે છે અને તેને 15 દિવસની અંદર ચુકવણી કરવામાં આવશે. આના પ્રતિસાદમાં નેશનલ યુનિયન ઓફ સીફેરર્સ ઓફ ઇન્ડિયાના તત્કાલીન આયોજક સુરેશ નાઈકે કહ્યું હતુ કે ‘ભલે હાલ નાવિકોને તરત કોઈ નુકસાન થવાનું નથી, પરંતુ થોડાં વર્ષો પછી શું થશે? જો બધા નાવિકો એકસાથે પોતાનું પ્રોવિડન્ટ ફંડ માગે તો શું થશે? શું કમિશનરેટ પાસે આવી પરિસ્થિતિનો સામનો કરવા પૂરતું ભંડોળ છે?’  (ક્રમશ:)