અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરમાં દાન ચોરીની ઘટના બાદ નવા દાન ગણતરી પ્રભારી શોભનાથ મિશ્રની નિમણૂક કરવામાં આવી છે. જેમાં હવે દાનની ગણતરી બે શિફ્ટમાં શરૂ કરવામાં આવી છે. રામ મંદિરમાં દાન ચોરીની ઘટનાઓ બાદ સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
દરેક શિફ્ટમાં 10 થી 12 લોકોની ટીમ ગણતરીનું કામ કરશે
આ નવી સિસ્ટમ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ટ્રાયલ રન પછી લાગુ કરવામાં આવી છે. દરેક શિફ્ટમાં 10 થી 12 લોકોની ટીમ દાન ગણતરીનું કામ કરશે. પહેલી શિફ્ટ સવારે 8:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 2:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે. જે શનિવારથી અમલમાં આવશે.
ચાર ભૂતપૂર્વ સૈનિકોને દેખરેખ માટે નિયુક્ત કર્યા
ટ્રસ્ટે દેખરેખ માટે ચાર કર્મચારીઓને તૈનાત કર્યા છે. જેમાં એક ભૂતપૂર્વ સૈનિકનો પણ સમાવેશ થાય છે. સુરક્ષા પ્રભારી કેપ્ટન કેકે તિવારીને ગણતરીના દૈનિક રિપોર્ટિંગ માટે જવાબદાર વરિષ્ઠ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ સૈનિક એસપી દુબે, શેષમણિ તિવારી અને શોભનાથ મિશ્રને પણ ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.