Wed Aug 19 2026

Logo

કેનવાસ: સ્પર્શની લિપિ ને હસ્તાક્ષરનું વિજ્ઞાન: કાગળ પર સચવાયેલા અસ્તિત્વની વિદાય

2026-08-16 12:12:00
Author: Abhimanyu Modi
Article Image

 

 

 

- અભિમન્યુ મોદી

 

કી-બોર્ડના આગમને માત્ર આપણી કલમ નથી છીનવી, તેણે માણસના અસ્તિત્વનો એક જીવંત હિસ્સો હડપી લીધો છે. કમ્પ્યુટર કે સ્માર્ટફોનના પડદા પર ટાઇપ થયેલા અક્ષરો એકદમ સપ્રમાણ, સુંદર અને ભૂલરહિત હોય છે, પરંતુ તે સદંતર ભાવશૂન્ય હોય છે. ડિજિટલ પડદા પર ચમકતા અક્ષરો કોઈ લાગણી નથી ધરાવતા, તે માત્ર યાંત્રિક બીબાં છે. એક જ કી-બોર્ડ પરથી ટાઇપ થયેલો પ્રેમપત્ર અને રાજીનામાનો પત્ર દેખાવમાં એકસરખા જ લાગે છે, કારણ કે યંત્ર પાસે માણસાઈનો ધબકારો નથી. આનાથી તદ્દન વિપરીત, હસ્તાક્ષર એ માત્ર અક્ષરોની ગોઠવણી નથી, તે માણસના શ્વાસ, તેની મનોવૃત્તિ અને તેના આત્માનો કાગળ પર ઊતરેલો કાર્ડિયોગ્રામ છે. હસ્તાક્ષરમાં કંપન છે, ઉતાવળ છે, ઠહેરાવ છે અને સ્પર્શની એક જીવંત લિપિ છે.

 

હસ્તાક્ષરનું પોતાનું એક ઊંડું મનોવિજ્ઞાન છે. કાગળ પર પેન ઘસતી વખતે પડતું દબાણ, અક્ષરોનો ઢાળ અને બે શબ્દો વચ્ચે છૂટતી જગ્યા આ બધું જ લખનારની માનસિક અવસ્થાનો અરીસો છે. ગુસ્સામાં લખાયેલા અક્ષરો કાગળની છાતી ચીરી નાખે તેવા ભારપૂર્વકના હોય છે, જ્યારે પ્રેમમાં લખાયેલા અક્ષરોમાં એક વળાંક અને સુંવાળપ હોય છે. વૃદ્ધાવસ્થામાં ધ્રૂજતા હાથે લખાયેલા અક્ષરોમાં માત્ર ઉંમરનો થાક નથી હોતો, પણ જિંદગીનો આખો નિચોડ વહેતો હોય છે. જૂના સમયમાં જ્યારે ટપાલી કવર આપી જતો ત્યારે પરબીડિયા પર સરનામાના અક્ષરો જોઈને જ ઘરના સભ્યો ઓળખી જતા કે કાગળ કોણે લખ્યો છે. હસ્તાક્ષર એ માણસનો ચહેરો જોયા વિના તેનો અવાજ સાંભળવાની કળા હતી. ડિજિટલ યુગના મેસેજમાં આપણે આ ઓળખ ગુમાવી બેઠા છીએ. ત્યાં બધું જ એકસરખું, અનામી અને શીતળ છે.

 

કોઈ જૂની સંદૂકમાંથી વર્ષો પહેલાં લખાયેલો પત્ર મળે અને તેમાં શાહી ફેલાઈ ગયેલો કોઈ ડાઘ દેખાય તો સમજાય કે આ કાગળ લખતી વખતે કોઈની આંખમાંથી આંસુ ટપક્યું હશે. કોઈ અક્ષર પર પેન થંભી ગઈ હોય તો સમજાય કે અહીં લખનાર કોઈ ઊંડી વિચારમગ્ન અવસ્થામાં સરી ગયો હશે. છેકછાક કરેલા શબ્દો બતાવે છે કે મનમાં ચાલી રહેલા સંઘર્ષ અને કાગળ પર ઊતરતા વિચારો વચ્ચે કેવું દ્વંદ્વ ચાલતું હશે. ટાઇપિંગમાં તો એક બટન દબાવીને ભૂતકાળ ભૂંસી શકાય છે, પણ હસ્તાક્ષરમાં થયેલી છેકછાક એ મનુષ્યની અપૂર્ણતાનો અને તેની નિખાલસતાનો સૌથી મોટો પુરાવો છે. પેનની શાહી સાથે માણસની સંવેદનાઓ ઘૂંટાઈને કાગળ પર કાયમી દસ્તાવેજ બની જતી. આપણે માત્ર કાગળ અને પેન નથી ત્યજ્યાં, આપણે એકબીજા સાથે જોડાવાની ધીરજ અને અંગત સ્પર્શની ઉષ્મા ગુમાવી દીધી છે.

 

ઇતિહાસના પાને નોંધાયેલું કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું ઉદાહરણ આ વાતની જીવંત સાક્ષી પૂરે છે. નોબેલ પારિતોષિક વિજેતા ટાગોરની મૂળ હસ્તપ્રતો જોવી એ એક લહાવો છે. (આવો જ લહાવો સિદ્ધહસ્ત સર્જક ચન્દ્રકાન્ત બક્ષીના હસ્તાક્ષરવાળી કૃતિઓ જોવા-વાંચવાનો છે) કવિતા લખતી વખતે જ્યારે કોઈ શબ્દ ખોટો પડતો કે વિચાર બદલાતો, ત્યારે ટાગોર તેને માત્ર એક સીધી લીટી મારીને છેકી નાખવાને બદલે એ છેકછાક પર પોતાની પેન ફેરવીને તેમાંથી કોઈ પક્ષી, વેલ કે કોઈ રહસ્યમય આકાર કંડારી દેતા! ભૂલને ઢાંકવાની કે ભૂંસવાની આ કેવી કલાત્મક રીત! તેમની હસ્તપ્રતોમાં રહેલી આ છેકછાક આજે વિશ્વભરમાં ચિત્રકળાના એક અદ્ભુત નમૂના તરીકે સચવાયેલી છે. જો ટાગોર એ સમયે કૉમ્પ્યુટર પર લખતા હોત અને તેમણે બેકસ્પેસ બટનનો ઉપયોગ કર્યો હોત તો કવિના મનમાં ચાલતા એ સર્જનાત્મક દ્વંદ્વ અને એમાંથી જન્મેલાં અદ્ભુત ચિત્રોને દુનિયાએ કાયમ માટે ગુમાવી દીધાં હોત. ડિજિટલ સ્ક્રીન તમારી ભૂલોને કોઈ નામ-નિશાન વિના ભૂંસી નાખે છે, તેનો કોઈ ઇતિહાસ નથી હોતો; જ્યારે કાગળ પર થયેલી ભૂલો અને હસ્તાક્ષરની મથામણ પણ ક્યારેક મહાન કળાનું સ્વરૂપ ધારણ કરી લે છે.

 

મૃત્યુ પછી માણસ જ્યારે ભૌતિક સ્વરૂપે વિદાય લે છે ત્યારે તેની પાછળ રહી ગયેલી તેની ડિજિટલ ફાઇલો ક્યારેય એવો ખાલીપો નથી ભરી શકતી  જેવી કોઈ જૂની ડાયરીમાં તેના હાથે લખાયેલી નોંધ ભરી શકે છે. પિતાના હસ્તાક્ષરવાળી કોઈ જૂની ચોપડી કે દાદાના ધ્રૂજતા હાથે લખાયેલો કોઈ હિસાબનો કાગળ અચાનક હાથમાં આવે ત્યારે એવું લાગે છે જાણે તેઓ હજુ પણ આપણી આસપાસ શ્વાસ લઈ રહ્યા છે. હસ્તાક્ષર એ માણસના અસ્તિત્વના અવશેષ છે, જે કાળના પ્રવાહ સામે અડીખમ ઊભો રહે છે. ભવિષ્યની પેઢી કદાચ એવી આવશે જેણે ક્યારેય પોતાના પ્રિયજનના હસ્તાક્ષર જોયા જ નહીં હોય. તે કાચની લીસ્સી સ્ક્રીન પર ટાઇપ કરતા રહેશે, પણ કોઈના અક્ષરોમાં છુપાયેલા વહાલને આંગળીઓના ટેરવે સ્પર્શવાની જે દિવ્ય અનુભૂતિ હતી તેનાથી તે બધા  કાયમ માટે વંચિત રહી જશે. મશીને આપણા શબ્દોને ઝડપ ચોક્કસ આપી છે, પણ અક્ષરોમાંથી આપણો આત્મા છીનવી લીધો છે.