મુંબઈઃ શુભમન ગિલના નેતૃત્વમાં ભારતની ટેસ્ટ ટીમ શ્રીલંકા જવા રવાના થઈ ત્યારે 11 વર્ષ પહેલાંના (2015ની સાલના) શ્રીલંકા ખાતેના એ પ્રવાસની ભારતીય ક્રિકેટચાહકોમાં ચર્ચા રહી છે જેમાં સેન્ચુરી ફટકારનાર પીઢ શ્રીલંકન ઑલરાઉન્ડરની ભારતના એક એવા નૉન-રેગ્યુલર ખેલાડીએ વિકેટ લીધી હતી જેને કારણે એ ટેસ્ટમાં તો બાજી ફરી જ ગઈ હતી, આખી ટેસ્ટ સિરીઝ પર એ વિકેટની અસર થઈ હતી અને છેવટે ભારતે શ્રેણી 2-1થી જીતી લીધી હતી.
ક્રિકેટચાહકોને શ્રીલંકા (SriLanka)ની ટૂર પર ગયેલી ભારતીય ટીમના વિકેટકીપર-બૅટ્સમૅન કે. એલ. રાહુલની 2015ની કોલંબો-ટેસ્ટની સેન્ચુરી (108 રન) બહુ યાદ નથી, તાજેતરમાં નિવૃત્ત થયેલા અજિંક્ય રહાણેની બીજા દાવની સદી (126 રન)ની પણ તેઓ વાત નથી કરી રહ્યા અને રવિચન્દ્રન અશ્વિને એ ટેસ્ટના બીજા દાવમાં જીત માટે માર્ગ મોકળો કરી આપતો પાંચ વિકેટનો પર્ફોર્મન્સ પણ બહુ યાદ નથી, પણ એક ખેલાડીએ લીધેલી એક વિકેટ તેઓ (ચાહકો) હજી નથી ભૂલ્યા.
આપણે વાત કરી રહ્યા છીએ સ્ટુઅર્ટ બિન્નીની ઐતિહાસિક ઓવરની. તેણે એ ઓવરની એક મહત્ત્વની વિકેટ બદલ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું છે. નવાઈની વાત એ છે કે સ્ટુઅર્ટ બિન્નીની ટેસ્ટ-કરીઅરનું એ અંતિમ વર્ષ બન્યું હતું.
વિરાટ કોહલી ત્યારે ટેસ્ટ-કૅપ્ટન હતો અને તેણે સ્ટુઅર્ટ બિન્નીને એ ટેસ્ટ માટેની પ્લેઇંગ-ઇલેવનમાં સામેલ કર્યો ત્યારે વિવાદ થયો હતો. જોકે સિરીઝની એ બીજી ટેસ્ટ હતી જે પહેલાં ભારત 0-1થી પાછળ હતું. કોલંબોમાં બીજી ટેસ્ટ માટેની પી. સારા ઓવલની પિચ સીમ બોલર્સ માટે અનુકૂળ અને સારા ઉછાળ અપાવનારી હતી. પ્લેઇંગ-ઇલેવનમાં સ્ટુઅર્ટ બિન્નીને સ્થાન અપાતાં કોહલીની કેટલાક વિવેચકોએ ખૂબ ટીકા કરી હતી. જોકે પેસ બોલર બિન્નીની જાદુઈ ઓવરે બાજી પલટાવી આપી હતી. તેણે ક્રીઝમાં 250 મિનિટ સુધી જામી ગયેલા ઍન્જેલો મૅથ્યૂઝને આઉટ કર્યો હતો. બિન્નીને એ ઇનિંગ્સમાં કુલ 18 ઓવર મળી હતી જેમાંથી એક ઓવરમાં તેણે ટીમને બાજી ફેરવી આપી હતી. તેણે પહેલાં તો બૅટ્સમેનોને સચોટ લાઇન ઍન્ડ લેન્ગ્થની મદદથી અંકુશમાં રાખ્યા હતા. તેણે એક ઓવરમાં 102 રન બનાવનાર મૅથ્યૂઝને ઑફ સ્ટમ્પની બહાર ફેંકેલા બૉલમાં પ્રથમ સ્લિપમાં મુરલી વિજયના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. મૅથ્યૂઝ ત્યારે શ્રીલંકાનો કૅપ્ટન હતો અને સ્ટુઅર્ટ બિન્નીએ તેને આઉટ કરીને પ્રથમ ટેસ્ટ-વિકેટ મેળવી હતી. બિન્નીએ એ વિકેટ મળતાં અમ્પાયરને પૂછી લીધું હતું કે `મારો આ નો-બૉલ તો નહોતોને?' અમ્પાયરે `ના'માં જવાબ આપ્યો હતો.
ભારતના 393 રનના જવાબમાં શ્રીલંકાએ 306 રન બનાવતાં ભારતને 87 રનની સરસાઈ મળી હતી. બીજો દાવ ભારતે 8/325ના સ્કોર પર ડિક્લેર કરીને યજમાન ટીમને 413 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને તેઓ 134 રન બનાવી શકતા ભારતનો 278 રનથી વિજય થયો હતો. નવાઈની વાત એ છે કે બીજા દાવમાં અશ્વિન, ઉમેશ યાદવ, ઇશાન્ત અને અમિત મિશ્રાની હાજરીમાં સ્ટુઅર્ટ બિન્ની (Stuart Binny)ને બોલિંગ આપવાની જરૂર જ નહોતી પડી. ભારતે બીજી ટેસ્ટમાં પણ વિજય મેળવીને શ્રેણી 2-1થી જીતી લીધી હતી. બિન્નીએ પછીની ટેસ્ટના પ્રથમ દાવમાં બે વિકેટ મેળવી હતી.