Wed Sep 09 2026

Logo

મહાકાલના દર્શન કરી પરત ફરતા વડોદરાના છ યુવાનના માર્ગ અકસ્માતમાં મોત

2026-08-09 17:13:49
Author: Chandrakant Kanoja
મહાકાલના દર્શન કરી પરત ફરતા વડોદરાના છ યુવાનના માર્ગ અકસ્માતમાં મોત

બદનાવર: મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરી કારમાં પરત ફરી રહેલા વડોદરાના છ યુવાનોના અકસ્માતમાં મોત થયા છે. આ અકસ્માત બદનાવર-ઉજ્જૈન ફોરલેન હાઈવે પર પંચકવાસા નજીક રોંગ સાઇડથી આવતી ટ્રકે કારને ટક્કર મારતા સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકને ઇજા થઇ છે. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.  તેમજ  પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો

આ અંગે પોલીસના જણાવ્યા મુજબ લોખંડના સામાનથી ભરેલ ટ્રક (GJ 39 DB 9248)  ખોટા કેરેજ વે પર ઉજ્જૈન તરફ જઈ રહ્યો હતો. ત્યારે ઇકો કાર (GJ 17 CK 6134)ગુજરાત તરફ જઈ રહી હતી. જેને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. તેમજ અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. 

પોલીસ  ઘટનાસ્થળે પહોંચી હતી 

આ ટક્કર એટલી ગંભીર હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને તેમાં રહેલા 6 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં સ્થાનિક તંત્ર સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકો અને પોલીસે સાથે મળીને કારનો કાચ તોડીને મૃતક યુવકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. 

ગુજરાતમાં મૃતકોના પરિવારજનોને જાણ કરી

પોલીસે ગુજરાતમાં મૃતકોના પરિવારજનોને જાણ કરી છે. તેમજ  તપાસની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ  મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બદનવર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.