નાશિક: નાશિકના સ્વઘોષિત જ્યોતીષી અશોક ખરાતને જાતીય શોષણના છઠ્ઠા કેસમાં કોર્ટે શુક્રવારે 26 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.મહિલાઓ સાથે કથિત દુષ્કર્મના કેસમાં ‘ગૉડમૅન’ ખરાતની 18 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરનારી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) એક પછી એક પાંચ કેસમાં ખરાતની ધરપકડ કરી ચૂકી હતી.
હવે એસઆઈટીએ ખરાતની છઠ્ઠા કેસમાં ધરપકડ કરતાં કોર્ટે તેને ત્રણ દિવસની કસ્ટડી સંભળાવી હતી. આ કેસમાં આરોપીએ અંગત સમસ્યાઓના નિરાકરણ માટે આવેલી મહિલા સાથે કુકર્મ કર્યું હતું.
ખરાતે મહિલાને કથિત ધમકી પણ આપી હતી કે તેની સાથે બનેલી ઘટનાની કોઈને જાણ કરી તો ‘દૈવીશક્તિ’નો ઉપયોગ કરીને આખા પરિવારનો વિનાશ કરી નાખશે. ખરાતે મહિલા પાસેથી તેના પરિવારના સભ્યોનાં આધાર, પૅન કાર્ડ અને અન્ય દસ્તાવેજો લીધા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.કેસની ગંભીરતા પર પ્રકાશ પાડતાં તપાસકર્તા પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપીએ ઘેનયુક્ત પાણી પીવા આપીને મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. એ સિવાય અમુક વિધિ પણ મહિલા પાસે કરાવી હતી. પોલીસ આરોપીના નાણાંકીય વ્યવહારોની તપાસ કરી રહી છે. (પીટીઆઈ)