નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ઉભી થયેલી સ્થિતી અંગે ઇઝરાયલે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે ઈઝરાયલના વિદેશ મંત્રી ગિડીઓન સારને ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. જેમાં ઈરાન, લેબનોન અને હોર્મુઝ સ્ટ્રેટમાં ઉભા થયેલા સુરક્ષા પડકારો અને ચર્ચા કરવામાં આવી હતી.
ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરતા અટકાવવું જરૂરી
આ મુદ્દે ઇઝરાયલના વિદેશ મંત્રી ગિડીઓન સારને જણાવ્યું હતું કે, ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરતા અટકાવવું આંતરરાષ્ટ્રીય સમુદાયની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. એક્સ પર પોસ્ટ કરતા તેમણે લખ્યું કે, ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે સારી ચર્ચા થઈ હતી. અમે ઈરાન, હોર્મુઝ સ્ટ્રેટ અને લેબનોન વિશે ચર્ચા કરી.
હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધી મુદ્દે કુવૈત અને સિંગાપુરના વિદેશ મંત્રીઓ સાથે વાતચીત
આ પૂર્વે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધી મુદ્દે કુવૈત અને સિંગાપુરના વિદેશ મંત્રીઓ સાથે પશ્ચિમ એશિયા સંકટ અંગે ચર્ચા કરી હતી. કુવૈતના વિદેશ મંત્રી શેખ જરાહ જાબેર અલ-અહમદ અલ-સબાહ સાથેની વાતચીત દરમિયાન જયશંકરે ત્યાં રહેતા ભારતીયોની સલામતી અને સુરક્ષા અંગે પણ વાત કરી હતી.
ચર્ચા પ્રાદેશિક પરિસ્થિતિ અને ભારતીય સમુદાયની સુરક્ષા પર કેન્દ્રિત
ભારતના વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, કુવૈતના વિદેશ મંત્રી શેખ જરાહ જાબેર અલ-અહમદ અલ-સબાહ સાથે અર્થપૂર્ણ વાતચીત થઈ છે. આ ચર્ચા પ્રાદેશિક પરિસ્થિતિ અને ભારતીય સમુદાયની સુરક્ષા પર કેન્દ્રિત હતી. તેમણે વધુમાં જણાવ્યું કે સિંગાપુરના વિદેશ મંત્રી વિવિયન બાલકૃષ્ણને પશ્ચિમ એશિયા સંઘર્ષ અને તેના પરિણામો પર ચર્ચા કરી.અમારી ચર્ચા પશ્ચિમ એશિયા યુદ્ધ અને તેની અસર પર કેન્દ્રિત હતી.